સોમવાર, 29 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (09:52 IST)

હવે પ્રજા સરકાર પાસે નહીં સરકાર પ્રજાના દ્વારે આવે છે'

રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોને લીધે ગુજરાત આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. એમ, રાજયના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજીક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું હતું.
 
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મનિષાબેને જણાવ્યું હતું કે, દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષીમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે ૨૦૨૩ સુધી ચાલશે એમ જણાવી તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવી રહેલી આત્મનિર્ભર ગ્રામ યાત્રા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાકીય સહાય, વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા પ્રજાને યોજનાકીય માર્ગદર્શન પણ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.
 
વધુમાં તેમણે રાજયમાં રસીકરણની પ્રક્રિયાને વેગ મળે એ માટે હર ઘર દસ્તક પહેલ શરૂ કરવામાં આવી હોવાનું જણાવી કૂપોષણને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પોષણ ૨.૦નો ખ્યાલ આપી તેમણે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ આહારનું યોગ્ય સેવન કરવામાં આવે તો ચોકકસપણે કૂપોષણનું પ્રમાણ ઓછું થશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી અંતરિયાળ વિસ્તારમાં વસતા નાગરિકોને પણ ગ્રામ્ય કક્ષાએ અનેકવિધ યોજનાઓ અંગે જાણકારી મળશે. જે તેમને ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક નિવડશે.
 
ગુજરાત રાજય બિન અનામત વર્ગ  શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ વિમલભાઇ ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને પણ ગુજરાતની અસ્મિતાનો અહેસાસ થાય તથા વિકાસની સાથે જોડાઇ એ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યું છેએમ જણાવી તેમણે સરકાર વંચિતો, શોષિતો અને પીડીતોને મુખ્યધારામાં લાવવાની કામગીરી કરી રહી છે.
 
આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંગે વિગતે છણાવટ કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજયની ૧૦૯૭ જિલ્લા પંચાયત બેઠકોને આવરી લેતી આ યાત્રા દરમિયાન રાજયભરમાં ૧૦૦ રથોનું ભ્રમણ કરશે. આ યાત્રા દરમિયાન ૧૨ વિભાગોની અનેકવિધ યોજનાઓના લોકાર્પણઅને ખાતમુહૂર્તકરવામાં આવશે. યોજનાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે એમ જણાવ્યું હતું.
 
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને ચેક તેમજ મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રી અને અન્ય મહાનુભાવોએ લીલીઝંડી બતાવી રથોને પ્રસ્થાન કરાવ્યું હતું.