શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (17:09 IST)

અમદાવાદની વિકાસયાત્રા 1411થી શરૂ થઈ જે આજે અવિરત પણે ચાલુ છે.

૧૪મીથી ૧૬મી સદી દરમિયાન ગુજરાત, પંજાબ જેવા પ્રાંતોનો વિકાસ સારો થયો. એમાં ગુજરાતના સ્થાપત્યની સ્ટાઈલ બહુ વખણાઈ. એમાંય અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન બહુ સારું ડેવલપમેન્ટ થયું.' આ શબ્દો છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે 'આર્કિટેક્ચર ઓફ અમદાવાદ'  વિષય પર વ્યાખ્યાન આપવા આવેલા સ્નેહલ શાહના. અમદાવાદમાં બનેલી સૌપ્રથમ મસ્જિદ વિષે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, 'અમદાવાદમાં પહેલી મસ્જિદ ૧૪૧૧માં જમાલપુર ખાતે બનાવવામાં આવી.

હૈબતખાનની આ મસ્જિદના સ્થાપત્યનો અભ્યાસ કરતા દેખાઈ આવે છે કે મંદિરને તોડીને બનાવવામાં આવી હશે. કારણ કે એમાં કળશ, ગણપતિ જેવા હિન્દુમંદિરના પ્રતિકો જોવા મળે છે. વળી તેના મિનારા એકદમ નાના જોવા મળે છે કારણ કે એ વખતે મિનારાનું સ્થાપત્ય ખાસ વિકસ્યું નહોતું. તેના ગુંબજનો આકાર મંદિરના ગુંબજ જેવો જ છે કારણ કે મુસ્લિમ શાસકો કંઈ પોતાની સાથે શિલ્પીઓને લઈને નહોતા આવ્યા એટલે મંદિર બનાવતા શિલ્પીઓએ જ શરૃઆતની મસ્જિદો બનાવી હશે.'

જે તે સમયના સ્થાપત્ય પર તે વખતના લોકોની પસંદ-નાપસંદની, કલ્ચરની, કળાઓની તેમજ પોલિટિક્સની ઘણી અસર જોવા મળતી હોય છે કારણ કે આર્કિટેક્ચર અને જિંદગી બહુ જુદી નથી. રાણકી વાવની મસ્જિદો તમે જુઓ તો પાટણના પટોળાની ડિઝાઈન જેવી જ લાગે. એ રીતે અમદાવાદની મસ્જિદોમાં તેમજ મકબરાઓમાં પણ સાડીઓમાં અને બ્લોક પ્રિન્ટીંગ જોવા મળતી ડિઝાઈનો જોવા મળે છે. રાણકીવાવ અને બાઈહરીની વાવ એક જ અરસામાં બનેલી છે તેથી કોની વાવ વધારે સુંદર બને તેવી સ્પર્ધા કદાચ એ સમયમાં થતી હશે.

અમદાવાદમાં ૧૪મી સદી સુધી મસ્જિદો બની. એ પછી ભારતમાં સૂફીઝમનો વિકાસ થયો અને એ રીતે મકબરાનું આર્કિટેક્ચર અસ્તિત્વમાં આવ્યું. જાણીતા સંતો, બાદશાહોના મકબરા બનવા માંડયા જે લોકોની આસ્થાનું પ્રતિક બન્યા. આ મકબરાઓમાં મદ્રેસા, મસ્જિદ, બગીચો, મહેલ, કૃત્રિમ રીતે બનાવેલા જળાશયો બધું જ હોતું તેથી તેને કેમ્પસ આર્કિટેક્ચર કહી શકાય. સરખેજનો રોઝો અને મસ્જિદ આ પ્રકારનું જ સ્થાપત્ય છે. એ વખતે સુંદર જ્યોમેટ્રીકલ અને ફૂલોની ડિઝાઈન ધરાવતી જાળીઓના સ્થાપત્યનો પણ વિકાસ થયો.

જૂના વખતમાં શહેરના પ્લાનિંગમાં નિચાણવાળી જગ્યાઓ પર માર્ગ બનાવાયા આવતા અને ઉંચાણવાળા વિસ્તારોમાં ઘરો બનાવવામાં આવ્યા અને એટલે રસ્તા ભલે વાંકાચૂકા છે પણ ગમે એટલો વરસાદ પડે તો પણ કોટ વિસ્તારમાં ક્યારેય પાણી નથી ભરાતું. હવેની બિલ્ડિંગો બાંધતા પહેલા આ વાત ધ્યાનમાં રખાતી એટલે થોડાક વરસાદમાં આખો વિસ્તાર પાણીમાં ગરક થઈ જાય છે.