શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (17:30 IST)

રાજ્યના ૨૦૪ ડેમમાં ૪,૦૪,૩૨૫ મીલીયન ઘનફુટ સાથે કુલ ૭૩% પાણીનો સંગ્રહ થયો : નીતિન પટેલ

કુદરતની સારા વરસાદરૂપી કૃપાથી અને જળસંગ્રહ-જળસંચય માટે રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે આજે રાજ્યના ૨૦૪ ડેમોમાં ૪૦૪૩૨૫ મીલીયન ઘનફુટ સાથે કુલ ૭૩ % પાણીનો સંગ્રહ થઇ ગયો છે. એટલુ જ નહી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સૌથી વધુ ઐતિહાસિક ૮૫ % જળસંગ્રહ થયો છે. ૧૩૪ મીટરથી વધુ લેવલ સુધીનુ પાણી સરદાર સરોવર ડેમમાં ભરાઇ ગયુ છે. જે ગત વર્ષે ૫૦ % જ ભરાયુ હતું. જે આજની તારીખથી ગત વર્ષની સરખામણીમાં સરદાર સરોવર ડેમમાં ૩૪ % વધુ જળસંગ્રહ થયો છે.
 
નીતિન પટેલે જણાવ્યું હતુ કે, જળસંપત્તિ વિભાગ હેઠળના ૨૦૪ ડેમોમાં ગત વર્ષ કરતાં ૨૩ % વધુ જળસંગ્રહ થયો છે, એટલે કે ડેમોમાં પાણીનો સંગ્રહ ૫૦ % જેટલો થવા પામ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૩૫ %, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૯૪%, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૮૧ %, કચ્છના ૨૦ ડેમોમાં ૬૩ % અને સૌરાષ્ટ્રના ૧૩૯ ડેમોમાં ૫૫ % જળસંગ્રહ થઇ ગયો છે.
 
આ ૨૦૪ ડેમો ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમમાં આજની તારીખે ૧૩૪ મીટર કરતાં વધુ લેવલ સુધીનું પાણી ભરવામાં આવ્યુ છે. આજની તારીખે આ ડેમમાં ૨,૮૩,૪૩૧ MCFT પાણીનો સંગ્રહ થવા પામ્યો છે. જે કુલ સંગ્રહના ૮૫ % થાય છે. ગત વર્ષે આ જ તારીખે સરદાર સરોવર ડેમમાં કુલ ૧,૭૨,૦૦૦ MCFT પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો. જે કુલ સંગ્રહના ૫૧ % જ હતો એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે ૩૪ % વધુ જળસંગ્રહ સરદાર સરોવર ડેમમાં થયો છે.
 
રાજ્યના ૨૦૪ જળાશયો પૈકી ૩૨ જળાશયોમાં ૧૦૦ % થી વધુ, ૫૭ જળાશયોમાં ૭૦ % થી વધુ અને ૨૨ જળાશયોમાં ૫૦ % થી વધુ, ૩૫ જળાશયો ૨૫ % થી વધુ અને ૫૮ જળાશયોમાં ૨૫  % થી ઓછો જળસંગ્રહ થયો છે.
 
આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ઉપલબ્ધ પાણીને ઉપયોગમાં લઇ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૫૦૦ ક્યુસેક પ્રવાહથી સૌની યોજના દ્વારા ભીમડાદ, કૃષ્ણસાગર, હણોલ, કાળુભાર, કાનીયાડ, રંઘોળા અને શેત્રુંજી તથા આજી-૧, ભાદર-૧, ગોમા, આંકડીયા અને સુખભાદર ડેમ મળી કુલ-૧૨ ડેમોમાં પાણી આપવામાં આવ્યું છે. તે ઉપરાંત કચ્છ શાખા નહેર દ્વારા ૮૦૦ ક્યુસેક પાણી લેવામાં આવે છે જેનાથી સુવાઇ, લાકડા વાંઢ બંધારા, ફતેહગઢ, ભોજનારી, ટપ્પર અને સારણ જળાશયમાં પાણી આપવામાં આવી રહ્યું છે.
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ૧૮૩૬ ક્યુસેક પાણી સુજલામ-સુફલામ યોજનાની જુદી-જુદી પાઇપલાઇનો મારફત ઉદવહન કરવામાં આવી રહ્યુ છે. જેના દ્વારા ૪૭૬ તળાવો ભરી દેવાયા છે તેમજ ધરોઇ, હાથમતી, ગુહાઇ, દાંતીવાડા અને મેશ્વો ડેમમાં પણ પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત મધ્ય ગુજરાત વિસ્તારની મહી કેનાલમાં ૪૦૩૫ ક્યુસેક પાણી આપવામાં આવ્યુ છે જ્યારે લાકરોડા-વીયર-વિજાપુર-માણસા વચ્ચે સંત સરોવર, ગાંધીનગર ખાતે ૨૫૦ ક્યુસેક પાણી સુજલામ-સુફલામના એસ્કેપમાંથી છોડવામાં આવી રહ્યું છે એટલે કે સંત સરોવર પણ ભરાઇ જાય તેવી સંભાવના છે.