1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (14:46 IST)

ગુજરાતમાં સ્કૂલ-કોલેજોમાં હિજાબનો વિવાદ ન થાય તે તકેદારી રાખવા સૂચના, રાજ્યમાં શાળા કોલેજોમાં હિજાબ મુદ્દે સરકારે પરિપત્ર કર્યો

કર્ણાટક હાઇકોર્ટે હિજાબ પહેરવું એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી એવો ચુકાદો આપ્યાના એક દિવસ પછી, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં રાજયની શાળા-કોલેજોમાં હિજાબનો વિવાદ ના વકરે તે માટેના સુચનો કરવામાં આવ્યાં છે.

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ સર્ક્યુલરમાં કહેવાયું છે કે “હિજાબ વિવાદ વિશે સાવચેત રહો જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.” આ પરિપત્રને કમિશનર ઓફ સ્કૂલ્સ, ડિરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન, ડિરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, ડિરેક્ટર ઓફ પ્રાઈમરી સ્કૂલ્સ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવ્યો છે.ગુજરાતના શિક્ષણ વિભાગે પણ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના વડાઓને પણ આ મુદ્દે પરિપત્ર કરી સ્પષ્ટ જણાવ્યુ છે કે, રાજ્યની શાળા-કોલેજોમાં હિજાબ મુદ્દે વિવાદ થવો જોઈએ નહી. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મળેલી સૂચના અંતર્ગત મહિલાઓને હિજાબ બાબતે થયેલ વિવાદ અન્વયે શાળા, કોલેજોમાં આ પ્રકારની ઘટના ન બને અને કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવે. શિક્ષણ વિભાગના વિવિધ વિભાગો દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તકેદારી રાખવા અંગે સૂચના આપી છે.