શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 માર્ચ 2021 (14:20 IST)

લો ગાર્ડન ખાતેના મેયર હાઉસને બદલે ચાલીના ઘરમાં જ રહેશે અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર

લો ગાર્ડન ખાતેના મેયર હાઉસને બદલે  ચાલીના ઘરમાં જ રહેશે અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર કિરીટ પરમાર બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. અને તેઓ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ મેયર હાઉસમાં રહેવા જવાને બદલે, બાપુનગરમાં આવેલ વીરાભગતની ચાલીના ભાડાના મકાનમાં જ રહેશે.  અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે  કિરીટ પરમાર ચૂંટાઈને આવે છે. આમ છતા, તેઓએ બાપુનગરના વીરા ભગતની ચાલીનું મકાન ત્યજીને અન્ય કોઈ  બંગલો, ફ્લેટ કે સોસાયટીમાં રહેવા ગયા નથી. એવી પણ વિગત સામે આવી છે કે, કિરટ પરમાર પાસે પોતાના નામે કોઈ મોટુ વાહન નથી. અમદાવાદમાં છેલ્લે, કાનાજી ઠાકોર એવા નગરપતિ કે જેએ માધુપુરામાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા. અમદાવાદમાં કિરીટ પરમાર પૂર્વે, ભાજપના સ્વર્ગસ્થ લાલજી પરમાર અનુસુચિત જાતિના મેયર બન્યા હતા. જેઓ બહેરામપૂરા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા.ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ પૂર્વમાંથી મેયરની પંસદગી કરવા સાથે એક કાકરે બે પક્ષી મારવા જેવો ઘાટ ક્યો છે. અમદાવાદ પૂર્વમાંથી મેયરની પસંદગી કરવામાં આવતી નથી તેવી લાગણી કાર્યકરોમાં ફેલાઈ છે તે વધુ ના પ્રસરે તે માટેની આ કવાયત હાથ ધરી છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં સૌથી વધુ અનુસુચિત જાતિની વસ્તી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છે. આથી અમદાવાદ પૂર્વના અનુસુચિત જાતિના લોકોને પણ અન્યાયની લાગણી ના થાય તેનું ધ્યાન રખાયુ છે.