શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (20:27 IST)

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતાં માસ્કના દંડમાં મળી શકે છે રાહત, જાણો હજુ રાજ્યમાં કેવા પ્રતિબંધ અને કેવી છે છૂટછાટ?

રાજ્યમાં સતત ઘટતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર નાઈટ કર્ફ્યૂમાં છૂટછાટ ઉપરાંત ફરજિયાત માસ્કના નિયમમાં પણ રાહત આપે તેવી શક્યતા છે. આજે રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ ચર્ચા પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગેની ગાઈડલાઈનની મુદત 18 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ રહી હોવાથી નિયંત્રોનો હળવા કરવા માટે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. 
 
હાલ રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત 19 જેટલા નાના શહેરોમાં પણ રાતના દસથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂનું પાલન કરાવાય છે. જોકે, હાલમાં નાઈટ કર્ફ્યૂ રાત્રીના 12 વાગ્યાથી લાગૂ કરવામાં આવ્યો છે. આ સિવાય, હાલ માસ્ક ના પહેરનારા પાસેથી નિયમ અનુસાર એક હજાર રુપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જેને ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી શકે છે. સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરીને તેમાં પણ રાહત મળે તેવા પ્રયાસ કરે તેવી અટકળો છે.
 
રાજ્યના મુખ્યમંત્રીએ થોડા દિવસો અગાઉ સંકેત આપ્યા હતા કે માસ્કનો દંડ ઘટાડવા આગામી દિવસોમાં ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના કેટલાક રાજ્યો ઉપરાંત બ્રિટનમાં પણ લોકોને ફરજિયા માસ્કમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં તેનો કાયદો હાલ ચોક્કસ અમલમાં છે, પરંતુ તેનું કડકાઈથી પાલન કરાવવાનું પોલીસે પણ કેટલાક સમયથી જાણે બંધ કરી દીધું હોય તેમ માસ્ક વિના પકડાતા લોકો પાસેથી દંડ વસૂલવાના કેસો પણ ઘટી ગયા છે. 
 
ગુજરાતમાં પણ હાલના નિયમો અનુસાર, કારમાં એકલો વ્યક્તિ હોય તો પણ તેના માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. તેવામાં હવે જોવાનું એ રહે છે કે સરકાર આ નિયમમાં કેવી અને કેટલી છૂટછાટ આપે છે.
 
ગુજરાતમાં હજુ કયાં ક્ષેત્રોમાં કેવા છે પ્રતિબંધ અને કેવી છે છૂટછાટ?
 
રાજકીય,ધાર્મિક સહિતના કાર્યક્રમમાં 150 વ્યક્તિઓની છૂટ
ખુલ્લામાં મહત્તમ 150,બંધ સ્થળોના 50 ટકા ક્ષમતામાં છૂટ
ખુલ્લામાં લગ્નમાં 300 લોકોની છૂટ
બંધ સ્થળોએ લગ્નમાં જગ્યાની 50 ટકા ક્ષમતામાં છૂટ
અંતિમવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી અપાઈ
સિનેમા,લાઈબ્રેરી, ઓડિટોરિયમમાં બેઠક ક્ષમતાના 50 ટકાની છૂટ
જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં ક્ષમતાના 50 ટકાની છૂટ
જાહેર બાગ બગીચા રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે
કોચિંગ સેન્ટર, ટ્યૂશનમાં 50 ટકા ક્ષમતાની છૂટ
 
મહાનગરો સિવાયના શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ,  સ્પા-સલૂન, બ્યૂટીપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75% સાથે 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.