શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 માર્ચ 2018 (13:53 IST)

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી 3 દિવસમાં 80 ખલાસીઓ અને 13 બોટનું પાકિસ્તાને અપહરણ કર્યુ

પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સીએ ગઇકાલે સાત બોટ અને ૪૨ માછીમારોના અપહરણ કરી લીધા બાદ ગુરૃવારે વધુ છ બોટ અને ૩૬ માછીમારોને મશીનગનના નાળચે ઉઠાવી લીધા છે. માત્ર ૩ દિવસની અંદર જ ૧૩ બોટ અને ૮૦ જેટલા ખલાસીઓને બંદીવાન બનાવાયા હોવાથી જાણે પાકિસ્તાને એક તરફી દરિયાઇ યુધ્ધ છેડી દીધું હોય તેવું જોવા મળ્યું છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઇ લોઢારીએ આપેલી માહિતી પ્રમાણે આઇએમબીએલ નજીક ગુરૃવારે ગુ્રપમાં માછીમાર કરી રહેલી પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ફીશીંગ બોટો ઉપર પાક. મરીન સીકયુરીટી એજન્સી ત્રાટકી હતી અને છ જેટલી ફીશંગ બોટ અને ૩૬ જેટલા માછીમારોને બંદીવાન બનાવી લીધા હતા.

આ ૬ બોટ પૈકીની ચાર બોટ પોરબંદરની, ૧ બોટ ઓખાની અને ૧ બોટ માંગરોળની હોવાનું બહાર આવ્યું છે. અગાઉનાં બે દિવસ દરમિયાન પાક. મરીને સાત બોટ અને ૪૨ માછીમારોના અપહરણ કર્યા બાદ ગુરૃવારે છ બોટ અને ૩૬ માછીમારોને ઉઠાવતા કુલ ૩ દિવસની અંદર ૧૩ બોટ અને ૮૦ જેટલા માછીમારોને બંદીવાન બનાવાયા છે. જેમાં ૧૧ બોટ પોરબંદરના બોટ માલિકોની છે અને આ ફીશીંગ બોટો કરાંચી બંદરે પહોંચ્યા બાદ માહિતી ત્યાંથી પ્રાપ્ત થઇ છે. પાકિસ્તાન મરીને એક તરફી દરિયાઇ યુધ્ધ છેડીને માર્ચ એન્ડીંગનો ટાર્ગેટ પુરો કરવાનો હોય તે પ્રકારે બોટ અપહરણ કરીને હાહાકાર મચાવી દીધો છે ત્યારે માછીમારોમાં સ્વભાવિક રીતે જ રોષના મોજા ઉછળી રહ્યા છે.