શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 મે 2019 (11:21 IST)

જસદણમાં ભાજપને ઓછી લીડ મળતાં રાજકારણમાં ઉકળતો ચરુ, મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જસદણ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારને ઓછી લીડ મળવાનો મુદ્દો હાલમાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રી બનેલા કુંવરજી બાવળીયા અને ભરત બોગરા વચ્ચે શાબ્દિક ચર્ચાઓએ રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાના સંકેતો આપ્યા હોય તેવી ચર્ચાઓ વેગવંતી બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જસદણ વિસ્તારમાં ભાજપને માત્ર 2800 જેવી નાની લીડ મળતા તેમજ મતદાન પણ નબળું થયું હતું. આથી અને બાવળીયા અને બોઘરા આમને સામને આક્ષેપો કર્યા હતા. પરંતુ આ મુદ્દો હાઇકમાન્ડ સુધી પહોંચતા બંને વચ્ચે જિલ્લા ભાજપ સમાધાન કરવાશે તેવું જાણવા મળ્યું છે. 
 
કુંવરજી બાવળિયા સાથે પત્રકારોએ ચર્ચાઓ કરતાં તેમણે જૂના અને નવા કાર્યકરો વચ્ચે મનમેળ ન થયો તેમજ બોઘરા જેવા સિનિયર નેતાઓએ ઓછો રસ લેતા સ્થિતિ સર્જાયાનું કહ્યું હતું. આ અંગે ડો. ભરત બોઘરાએ ચૂંટણીના આંકડાઓ અને પુરાવા સાથે કહ્યું કે, નબળી લીડના જવાબદાર કુંવરજી બાવળિયા છે અને તેમના જ ગામમાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે અને ભાજપને કુલ 12000 મતોનું નુકસાન થયું છે, જ્યારે બોઘરાની જવાબદારી વાળા વિસ્તારોમાં ભાજપને 14000 મતોની લીડ મળી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે, આ મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે અને ત્યાંથી નિર્ણય આવશે. જો કે જિલ્લા ભાજપ બાવળિયા અને બોઘરાને એકસાથે બેસાડીને સમાધાન કરાવશે.  
કુંવરજી બાવળિયાની ચૂંટણીમાં બોઘરા જ જવાબદારી સંભાળતા હતા. બંને વચ્ચે વિવાદ થતા બોઘરા ભાજપમાં ભળ્યા હતા અને તેમની સામે જ ઉમેદવારી નોંધાવી હતી. જે ચૂંટણીમાં બાવળિયાની હાર થઇ અને બોઘરા જસદણના ધારાસભ્ય બન્યા હતા ત્યારથી આ બંને વચ્ચે વિરોધના બીજ રોપાયા હતા. બાવળિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળ્યા ત્યારે તેમાં મુખ્ય ભૂમિકા બોઘરાએ ભજવ્યાની ભાજપના અગ્રણીઓ કહી રહ્યા છે, પણ બંનેએ જે આક્ષેપબાજી કરી છે તે પરથી હજુ પણ ગજગ્રાહ ચાલતો હોવાનું સાબિત થયું છે.