શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:19 IST)

પરપ્રાંતિયોની હિજરત મામલે પીએમ મોદીએ રૂપાણી અને નિતિન પટેલને ખખડાવ્યા?

ગુજરાતમાં પરપ્રાંતીઓ પર થઈ રહેલા હુમલા અંગે સીએમ રુપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો પીએમ મોદી તેમજ અમિત શાહે ઉધડો લીધો હોવાના અહેવાલ છે. ઉત્તર ભારતીયોને સુરક્ષા પૂરી પાડવા તેમજ તેમનું પલાયન અટકાવવામાં સરકાર કાચી પડી હોવાથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી રુપાણી અને નીતિન પટેલથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ એક ચાવીરુપ સૂત્રના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતીયો સામે થઈ રહેલી હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા રુપાણી અને નીતિન પટેલ સમક્ષ મોદી અને શાહે નારાજગી વ્યક્ત કરી છે. 
રાજસ્થાન, એમપી તેમજ છત્તિસગઢમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તે વેળાએ જ હિન્દીભાષીઓ સામે હિંસા થતાં ભાજપની ટોચની નેતાગીરી ચિંતામાં મૂકાઈ ગઈ છે મહત્વનું છે કે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમજ બિહારના સીએમ નીતિશ કુમારે આ મામલે રુપાણી સાથે સોમવારે વાત કરી હતી. બંને રાજ્યના સીએમે ગુજરાત સરકાર સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. 
હાલ રુપાણી અને નીતિન પટેલ પર આ મામલે ભારે પ્રેશર હોવાનું જાણવા મળી રહ્યું છે. 2009થી શરુ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યની શાંતિપૂર્ણ તેમજ લેબર ફ્રેન્ડલી ઈમેજને મજબૂત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે વાઈબ્રન્ટ સમિટને પણ માંડ અઢી મહિનાની વાર છે, ત્યારે પરપ્રાંતીઓ પર હુમલાના કારણે ઉદ્યોગો મુસિબતમાં મૂકાયા છે. તેવામાં ગુજરાતની ઈમેજ સામે સવાલ ઉભા થતા સરકાર ગમે તેમ કરી આ મામલાને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.