1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 જૂન 2020 (20:42 IST)

રાજકોટથી કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા પહોંચ્યા હવે પક્ષપલ્ટુઓને ખુલ્લા પાડશે

રાજયસભાની ચૂંટણી પુર્વે ભાંગફોહ રોકવા માટે ધારાસભ્યોને જુદા-જુદા કેમ્પમાં રાખનાર કોંગ્રેસે હવે બાકીના આઠ દિવસોમાં પક્ષપલ્ટો કરનારા ધારાસભ્યોને ખુલ્લા પાડવા તેમના જ મતક્ષેત્રોમાં ધરણા સહિતના કાર્યક્રમો કરવાનો વ્યુહ અપનાવ્યો છે. રાજકોટના કોંગ્રેસ ધારાસભ્યોના કેમ્પનો મુકામ આજે ગઢડા રાખવાનું નકકી કરાયું છે. વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે વાતચીતમાં કહ્યું કે ભાજપના લોકશાહીને ખત્મ કરતા કાવાદાવા તથા મતદારોના મતની કિંમત શૂન્ય કરી નાખતી ભાંગફોડની નીતિને ખુલ્લી પાડવા માટે વિધાનસભામાંથી રાજીનામા આપનારા ધારાસભ્યોને ખુલ્લા પાડવા માટે તેમના જ મતક્ષેત્રમાં કાર્યક્રમો રાખવાનું વિચારણામાં છે. રાજકોટમાં રહેલા ધારાસભ્યોને આજે ગઢડામાં લઈ જવાશે. કોંગ્રેસ કાર્યલય ખાતે જ કાર્યક્રમ યોજવામાં આવશે. બીજી તરફ દક્ષિણ અને ઉતર ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોનો કેમ્પ રાખવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ કહ્યું કે પાર્ટીના ધારાસભ્યો સંગઠીત જ છે. પાર્ટીમાં કોઈ જુથવાદ નથી. રાજયસભાના કોંગ્રેસના બે ઉમેદવારો ભરતસિંહ સોલંકી તથા શક્તિસિંહ ગોહીલના સમર્થક ધારાસભ્યોને અલગ રાખવામાં આવ્યા હોવાની અટકળો પણ તેઓએ ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. 19મીએ રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી છે. છેલ્લા સમયમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાથી બે બેઠકો જીતવાનું કોંગ્રેસનું ગણીત બગડી ગયુ છે છતાં છેલ્લી ઘડીએ ચમત્કાર કરવાનો અને બન્ને બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.