શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (15:50 IST)

હસ્તકલાની પરંપરામાં વાગડના દેશી કપાસનો પુન: પ્રવેશ, કચ્છના ઓર્ગેનીક કાલા કોટનથી બનતા ખાદી કાપડની દેશ-વિદેશમાં ભારે માંગ

કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ખાદીને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ખાદી ઉત્સવના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે ચરખો ચલાવીને સમગ્ર દેશમાં ખાદીના ઉત્પાદનો તરફ જાગૃતિ આણવા, યુવાનોમાં ખાદીને લોકપ્રિય કરવા પ્રસંશનીય પ્રયાસ કર્યો હતો. કચ્છમાં પણ છેલ્લા ૪ વર્ષથી મહિલાઓ વિવિધ પ્રકારના ચરખાના માધ્યમથી ખાદીનું ઉત્પાદન કરીને સ્વાવલંબન સાથે સ્વમાનભર્યું જીવન મેળવવા સક્ષમ બની છે. ખાસ કરીને કચ્છના પ્રખ્યાત દેશી કાલા કોટનમાંથી બનાવવામાં આવતા ખાદીના કાપડે સમગ્ર દેશ-દુનિયામાં પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉપરાંત વાગડના દેશી કપાસનો હસ્તકલાની પરંપરામાં પૂન: પ્રવેશ થયો છે તેમ કહેવું જરા પણ ખોટું નથી.
 
ભુજ હાટ ખાતે ચાલતા ત્રિ-દિવસીય હાથશાળ અને હસ્તકલા મેળામાં કચ્છની સામાજીક સંસ્થાના નેજા હેઠળ કામ કરતી અબડાસા તાલુકાની ખાદી કારીગર વડીલ બહેનો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઢળતી ઉંમર હોય , પતિ પણ દુનિયાને અલવિદા કહી દે અને આવકના સાધન ન હોય ત્યારે વૃધ્ધ મહિલાઓ માટે સ્વમાનભેર જીવવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. આવી જ કંઇક પરિસ્થિતીનો સામનો કરતી સરહદી અબડાસા તાલુકાની વૃધ્ધ મહિલાઓ આજે ખાદીના વણાટકામના માધ્યમથી પગભર બની છે. ઉપરાંત એકબીજાની હુંફ મેળવીને આજે યુવાનોની જેમ સરકાzર દ્વારા યોજાતા વિવિધ હેન્ડલુમ અને હસ્તકલા મેળામાં પોતાની કલા અને પ્રોડકટનું પ્રદર્શન પણ કરતી થઇ છે.
છેલ્લા ૪ વર્ષથી પૂન: રેંટીયો કાંતવાના કામ સાથે જોડાયેલા ૮૫ વર્ષના જશુબા જાડેજા જણાવે છે કે, યુવાનીમાં રેંટીયો કાંતતા હતા પરંતુ સમય બદલતા આ કામ છુટી ગયું પરંતુ જીવન સંધ્યાએ ફરી રેંટીયો કાંતવાનો મોકો મળતા ફરીથી આ કામ ચાલુ કર્યું છે. આ કામના કારણે અમારો સમય સારી રીતે પસાર થઇ જાય છે, ઉપરાંત જે પણ આવક થાય છે તેનાથી અમારી જરૂરીયાતો પૂર્ણ કરવામાં મદદ મળી રહી છે. 
 
અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. વૃધ્ધા અવસ્થામાં અન્ય કોઇ પરિશ્રમ કરીને આવક મેળવવી શકય નથી ત્યારે રેંટિયો કાંતવાના કામથી અબડાસા તાલુકામાં અનેક વૃધ્ધ મહિલાઓને પૂરક રોજીરોટીનું સાધન પ્રાપ્ત થયું છે. વર્તમાન સમયમાં બારડોલી રેંટીયો, યરવડા ચરખો જેના પર ગાંધીજી પણ ઉન કાંતતા હતા  તથા અંબર ચરખો આ ત્રણ પ્રકારના ચરખા પર કામ કરાઇ રહ્યું છે.
 
જીવનના ૭ દાયકા પસાર કરી ચુકેલા કૈલાશબા જાડેજા, રામબા જાડેજા વધુમાં જણાવે છે કે, કાલા કોટન પૂર્વ કચ્છના વાગડ વિસ્તારની ખાસિયત છે. આ કપાસ માત્ર વરસાદી પાણી આધારીત જ ઉગે છે. કોઇપણ પ્રકારના કેમીકલના વપરાશ વગર તેનું વરસાદી પાણીથી ઉત્પાદન થાય છે. તેથી તેમાંથી બનતા ખાદીના કાપડની ખાસિયત વધી જાય છે. હાલ અબડાસા તાલુકામાં ૧૪ ગામની અમારા જેવી અનેક મહિલાઓ ખાદી કારીગર તરીકે કામ કરી રહી છે. ૧૨૫ ચરખા દિવસ-રાત લોકોના ઘરે ચાલી રહ્યા છે. જેટલું વધુ કામ થાય તે મુજબ મહિલાઓ આવક મેળવી શકે છે.
 
ખાદી કારીગર જ્ઞાનબા જાડેજા જણાવે છે કે, છુટક માર્કેટમાં અમારા દ્વારા ઉત્પાદિત ખાદી કાપડનું વેંચાણ થાય છે. તે ઉપરાંત મોટા હોલસેલર, દેશની મોટી બ્રાન્ડ સીધી જ અમારી પાસેથી ખરીદી કરે છે. આ સાથે જાપાન સહીતના દેશોમાં પણ કચ્છની કાલા કોટન ખાદીની નિકાસ થાય છે. વર્તમાન સમયમાં સરકાર દ્વારા વિવિધ મેળામાં વેંચાણ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ અપાતું હોવાથી અમારી પ્રોડકટ લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે. સરકારના આ સહકારથી ઘરની બહાર નીકળીને અમે મેળાના માધ્યમથી લોકો સાથે સીધા જોડાઇ રહ્યા છીએ. બજાર સાથે કઇ રીતે સંકળાઇ શકાય તેની સમજ આવી છે. 
 
વધુ કામ કરવાની ઘગશ તથા અમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. વર્તમાન સમયમાં અબડાસા તાલુકામાં ચાલતા કાલા કપાસ પ્રોજેકટમાં જોડાયેલી ૭૦ થી ૮૦ ટકા મહિલાઓ ૬૦ વર્ષથી ઉપરની છે. આમ, ઊન કંતાનના કામે ઢળતી સંધ્યાએ પહોંચેલી બહેનોના જીવનમાં પ્રકાશનું નવું કીરણ આપ્યું છે. આવક તો મળી રહી છે પરંતુ સ્વમાન સાથે તેમને જીવવાનો એક મોકો આપ્યો છે.