સાબરમતી જેલમાં કેદીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વ્યક્ત કર્યો પસ્તાવો, સજા માફીથી લઈને ગુનાથી દૂર રહેવા સુધીની વાતો
Seva Sankalp Abhiyan: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેદીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કેદીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને અનુભવો જાણ્યા હતા. આ દરમિયાન કેટલાક કેદીઓએ લાંબા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા હોવાની વાત કરી હતી અને સજા માફી અંગે વિચારણા કરવા રજૂઆત કરી હતી.
લાંબી સજા ભોગવી રહેલા કેદીઓની રજૂઆત
સંવાદ દરમિયાન કેટલાક કેદીઓએ પોતાની લાંબી સજા અને જેલમાં વિતાવેલા વર્ષો અંગે મુખ્યમંત્રી સમક્ષ વાત કરી હતી. એક કેદીએ 14 વર્ષની સજા પૂર્ણ કરનારા કેદીઓને માફીનો લાભ આપવા અંગે રજૂઆત કરી હતી. અન્ય કેદીએ 18 વર્ષથી જેલમાં હોવાનું જણાવી સજા માફી અંગે વિચારણા કરવાની વિનંતી કરી હતી.
એક અન્ય કેદીએ જણાવ્યું હતું કે તે 22 વર્ષથી જેલમાં છે અને પોતાની સજા માફી અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ દરમિયાન લાંબા સમયથી જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર લાભો અને સજા માફી જેવા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હતા.
ગુનાનો પસ્તાવો વ્યક્ત કરતા કેદીએ કહ્યું- ‘પરિવાર બરબાદ થઈ ગયો’
સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ કેદીઓને એવો સંદેશ આપવા અંગે પૂછ્યું કે બહારના લોકો ગુનાથી દૂર રહે. તેના જવાબમાં એક કેદીએ પોતાના ગુનાનો પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું કે તેમના કારણે પરિવારને પણ ભારે નુકસાન થયું છે અને આવી ભૂલ કોઈએ કરવી ન જોઈએ.
CMએ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’નો ઉલ્લેખ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેદીઓને સંયમ અને સારા માર્ગે ચાલવાની અપીલ કરી હતી. તેમણે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ભજનના મૂલ્યોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ કેદીઓએ આ ભજન ગાયું હતું. સત્તાવાર અહેવાલો અનુસાર, મુખ્યમંત્રીએ કેદીઓને નાની ભૂલના ગંભીર પરિણામો વ્યક્તિ તેમજ તેના પરિવારને ભોગવવા પડી શકે છે તેમ સમજાવી સંયમના માર્ગે ચાલવા જણાવ્યું હતું.
કેદીઓના કૌશલ્ય વિકાસ કેન્દ્રોની પણ મુલાકાત
મુખ્યમંત્રીએ જેલ પરિસરમાં ચાલતા કૌશલ્ય વિકાસ કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી. તેમણે કોમ્પ્યુટર, સુથારીકામ, વણાટ અને બુક-બાઇન્ડિંગ જેવી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. જેલમાં તૈયાર થતી વિવિધ વસ્તુઓની કામગીરી પણ તેમણે નિહાળી હતી
