શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (18:39 IST)

બેકિંગ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ, ગુજરાતમાં 23 હજાર કોરોડનું બેકિંગ કૌભાંડ

નીરવ મોદી અને મેહુલ ચોકસીના બેંકિંગ કૌભાંડથી પણ મોટા બેંકિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાતની એક કંપની દ્વારા પણ આવું કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થિત કંપની એબીજી શિપયાર્ડે દેશની 28 બેંકો સાથે રૂ. 22,842 કરોડની છેતરપિંડી કરી છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ 14 હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું. એબીજી શિપયાર્ડ કૌભાંડ ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ માનવામાં આવે છે.
 
કેન્દ્રીય તપાસ એજન્સી, CBIનું કહેવું છે કે એબીજી શિપયાર્ડ અને તેમના ડિરેક્ટર્સ- ઋષિ અગ્રવાલ, સંથાનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંકોને રૂ. 23,000 કરોડની છેતરપિંડી કરી છે. ABG શિપયાર્ડ અને તેની ફ્લેગશિપ કંપની જહાજોના નિર્માણ અને સમારકામના વ્યવસાય સાથે સંકળાયેલી છે. શિપયાર્ડ ગુજરાતમાં દહેજ અને સુરત ખાતે આવેલા છે.
 
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIની ફરિયાદ અનુસાર, કંપનીએ તેની પાસેથી 2,925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કંપનીએ દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI પાસેથી સૌથી વધુ 7,089 કરોડ રૂપિયાની લોન લીધી હતી. IDBI પાસેથી રૂ. 3,634 કરોડ, બેન્ક ઓફ બરોડામાંથી રૂ. 1,614 કરોડ, પંજાબ નેશનલ બેન્કમાંથી રૂ. 1,244 કરોડ અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાંથી રૂ. 1,228 કરોડ બાકી છે. આ સમગ્ર કૌભાંડ એપ્રિલ 2012થી જુલાઈ 2017નું છે.
 
અર્ન્સ્ટ એન્ડ યંગ, એક ખાનગી નાણાકીય વ્યવસ્થાપન ફર્મ દ્વારા 18 જાન્યુઆરી, 2019 ના રોજ સબમિટ કરવામાં આવેલ ફોરેન્સિક રિપોર્ટનું ઓડિટ દર્શાવે છે કે આરોપીઓએ કાવતરું ઘડ્યું અને નાણાં ટ્રાન્સફર કર્યા, અનિયમિતતાઓ અને ગુનાહિત કાવતરું કર્યું. CBI દ્વારા નોંધાયેલી FIRમાં આ વાત કહેવામાં આવી છે. સીબીઆઈનું કહેવું છે કે આ છેતરપિંડી ફંડના ડાયવર્ઝન, નાણાકીય અનિયમિતતાઓ અને બેંક ફંડના ખર્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈએ હવે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
 
આ પહેલા હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. નીરવ મોદી હાલમાં યુકેમાં ધરપકડ હેઠળ છે અને તેને ભારત લાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા પણ દારૂના કારોબારી વિજય માલ્યા પર લગભગ નવ હજાર કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો મામલો પણ ચર્ચામાં રહ્યો હતો. તેને લંડનથી પણ ભારત લાવવાના પ્રયાસો ચાલુ છે.