શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (12:25 IST)

ગુજરાત સરકારને થોડી કળ વળી, S.T કર્મચારીઓ બાદ પૂર્વ સૈનિકોએ પણ આંદોલન પરત ખેંચ્યું

st strike
ચૂંટણી પહેલા ગુજરાત સરકાર સામે વિવિધ સંગઠનોએ પોતપોતાની માંગને લઈને બાંયો ચઢાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ આંદલનો સરકારના માથાનો દુઃખાવો બન્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે થોડી રાહતની ખબર આવી છે. એસ.ટી કર્મચારીઓ બાદ હવે માજી સૈનિકોએ પણ પોતાનું આંદોલન પરત ખેંચ્યું છે. લાંબા સમયથી ગાંધીનગર સચિવાલય ખાતે માજી સૈનિકો ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની માગણીને લઈને સરકારે પાંચ સભ્યોની સમિતિ બનાવતા માજી સૈનિકોએ પોતાનું આંદોલન પરત ખેંચ્યું છે.

બીજી તરફ એસ.ટી વિભાગના કર્મચારીઓએ પણ તેમની વર્ષો જૂની પડતર માગણીનું સુખદ સમાધાન થતા આંદોલન સમેટ્યું હતું. વાહન વ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એસ.ટી.ના કર્મચારી યુનિયનોના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં 25 વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નો પર 7 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. મેરેથોન ચર્ચાના અંતે વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.આંદોલન સમેટાઈ જતા અને તેનો ઉકેલ આવતા જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું કે, ઘણા દિવસના અંતે નિરાકરણ લાવવા કમિટીની રચના થઇ છે. મને લાગે છે કે ભૂતકાળમાં આવી કોઈ કમિટી બની નથી. ભવિષ્યમાં આજ રીતે સીધી લીટીમાં મે સરકારને રજૂઆત કરીશું. છેવાડાના માજી સૈનિકોને સાંળલે તેવી રજૂઆત કરીશું. આજે અમે રાજીખુશીથી ઘરે જઈએ છીએ. બીજી તરફ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આરોગ્યકર્મીઓ ભૂખ હડતાળ કરશે. આરોગ્ય કર્મચારીઓની હડતાળને આજે 46 મો દિવસ છે. જ્યાં સુધી તેમની ત્રણ માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની કર્મચારીઓની ચીમકી આપી છે. વારંવાર બેઠકો બાદ પણ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઈ નિવેડો આવ્યો નથી.