શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , મંગળવાર, 30 મે 2023 (11:22 IST)

આવતીકાલે સવારે આઠ વાગ્યે જાહેર થશે ધો.12 સા.પ્રનું પરિણામ, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

વિદ્યાર્થીઓ  વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
 
 ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે.  ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ  ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ અને ટકાવારીમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે. જો કે ગત વર્ષ કરતા પરિણામમાં અડધો ટકા ઓછુ પરિણામ અને એ-૧ ગ્રેડમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ ઓછા આવ્યા છે. જ્યારે 12 સાયન્સની વાત કરીએ તો રાજ્યમાં 65.58 ટકા પરિણામ નોંધાયું છે.હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે. 
 
વોટ્સએપના માધ્યમથી પરિણામ જોઈ શકાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. 
 
પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
ધોરણ 12 સાયન્સમાં એક કે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી લીધી છે. જુલાઈ મહિનામાં આ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ પાંચમી જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ http://Gseb.org પર અરજી કરવાની રહેશે. પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. 
 
વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે
ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ  તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.