1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (21:39 IST)

PSI અને લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે, ઉમેદવારોએ કહ્યું- 'આતો એવું થયું ભરતી બે પણ ટ્રાય એક'

દિવાળી પછી નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે

-દિવાળી પછી નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે
-ઉમેવાદરોએ શારીરિક કસોટી માટે તૈયારી કરવા વધુ સમય માંગ્યો
 
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો છે. આ ભરતી પ્રક્રિયા માટે દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાવાની છે. 
 
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, પો.સ.ઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે.
 
ઉમેદવારોએ અલગ શારીરિક કસોટી લેવા માંગ કરી
આ જાહેરાતથી સોશિયલ મીડિયામાં જ કેટલાક ઉમેદવારો શારીરિક પરીક્ષા માટે તૈયારી કરવા વધારે સમય આપવામાં આવે તેવી માંગ કરી છે, જ્યારે કેટલાક ઉમેદવારોએ બંને ભરતી માટે અલગ અલગ શારીરિક કસોટી લેવાની માંગ કરી છે. 
 
100 દિવસમાં ભરતીનું આયોજન કરાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
 
શિક્ષિત યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવાશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ નિર્ણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે