શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (17:37 IST)

4 ડિસેમ્બરે નીરજ ચોપડા ગુજરાતની મુલાકાત લેશે, વિદ્યાર્થીઓને આપશે પ્રેરણાત્મક પ્રોત્સાહન

આ વર્ષની શરૂઆતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર પ્રતિક્રિયા આપતા, આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન સ્કૂલના બાળકો સાથે સંતુલિત આહાર, ફિટનેસના અત્યંત મહત્વના વિષયો પર વાતચીત કરવા માટે અને રમતગમતના એક અનોખા અભિયાનના માધ્યમથી ભારતના ભવિષ્યના ચેમ્પિયનોને સશક્ત બનાવવા માટે તૈયાર છે. ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને હવે દેશભરમાં એક આગળપડતું અને ઘરેઘરમાં જાણીતું નામ એવા નીરજ ચોપડા આ અભિયાનની શરૂઆત 4 ડિસેમ્બર, 2021ને અમદાવાદના સંસ્કારધામ સ્કૂલમાં સમગ્ર ગુજરાતના સ્કૂલના બાળકો સાથે કરશે.
 
નીરજની આગામી સફર અને વાતચીતની ઘોષણા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ટ્વીટર પર કરી. તેમણે લખ્યું, “પીએમ નરેન્દ્ર મોદીજીએ આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયનોને સ્કૂલોની મુલાકાત લેવા અને સંતુલિત આહાર, ફિટનેસ, રમતગમત વગેરેના મહત્વ અંગે વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવાનું આહ્વાન કર્યુ. 4 ડિસેમ્બરથી નીરજ ચોપડા સંસ્કારધામ સ્કૂલમાં આ મિશન શરૂ કરવા માટે અમદાવાદમાં ઉપસ્થિત હશે.
 
મિશન વિશે બોલતા, નીરજે કહ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલ આ અનોખી પહેલનો ભાગ બનવા માટે હું અત્યંત ખુશ અને ઉત્સાહિત છું. આ પહેલ ફિટનેસ, બહેતર પોષક આહાર અને આપણા રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ વિશે વધુ જાગૃતિ પર આધારિત રમત-ગમત સંસ્કૃતિ બનાવવાની ગતિને વેગ આપશે. રમતવીર તરીકે અમે યુવાનોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકીએ છીએ. હું શનિવારે સંસ્કારધામ શાળાના વિદ્યાર્થીઓ સાથેની મારી વાતચીતની આતુરતાથી રાહ જોઉં છું."
 
શનિવારની ઇવેન્ટમાં નીરજ વિદ્યાર્થીઓ સાથે ‘સંતુલિતઆહાર’ પર વાર્તાલાપ કરતા જોવા મળશે, જે સંતુલિત આહાર, પોષણ, તંદુરસ્તી અને રમતગમતના મહત્વ પર ભાર મૂકે છે. નીરજ શાળાના બાળકોના પ્રશ્નો પણ જાણશે અને તેમની સાથે ફિટનેસ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે.
 
નીરજને પગલે તરુણદીપ રાય (તીરંદાજી), સાર્થક ભાંભરી (એથ્લેટિક્સ), સુશીલા દેવી (જુડો), કેસી ગણપતિ અને વરુણ ઠક્કર (સેલિંગ) આગામી બે મહિનામાં દેશના અન્ય ભાગોમાં શાળાઓની મુલાકાત લેશે. પેરાલિમ્પિયન્સમાં, અવનીલેખારા (પેરા શૂટિંગ), ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને દેવેન્દ્ર ઝાઝરિયા (પેરા એથ્લેટિક્સ) આ મિશનમાં તેમની સાથે જોડાશે.
 
શિક્ષણ મંત્રાલય અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ વિશેષ ઝુંબેશ, ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સના આપણા આ હીરોને નિહાળશે, બે વર્ષના ગાળામાં દેશભરની શક્ય તેટલી વધુ શાળાઓની મુલાકાત લેશે. રમતવીરો તેમના પોતાના અનુભવો, જીવનના પાઠ, આગામી મહાન રમતવીર કેવી રીતે બનવું તેની ટીપ્સ શેર કરશે અને શાળાના બાળકોને એકંદરે પ્રેરણાત્મક પ્રોત્સાહન પણ આપશે.