ગણેશોત્સવમાં પ્રસાદ માટે અથવા ઉપવાસમાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ 'માવા મખાના ખીર'
માવા મખાના ખીર ઉપવાસ માટે અથવા ગણેશોત્સવમાં પ્રસાદ તરીકે બનાવી શકાય તેવી અત્યંત પૌષ્ટિક, ક્રીમી અને સ્વાદિષ્ટ ખીર છે. ચાલો જાણીએ તેની સરળ રેસિપી...
સામગ્રી
મખાના : 2 કપ
દૂધ : 1 લિટર (ફુલ ક્રીમ)
માવો/ખોયો : ½ કપ (છીણેલો)
ખાંડ : ½ કપ (સ્વાદ અનુસાર)
ઘી : 2 ટેબલસ્પૂન
કાજુ, બદામ અને પિસ્તા : 2-3 ટેબલસ્પૂન (સમારેલા)
કેસર : 8-10 તાંતણા (2 ટેબલસ્પૂન ગરમ દૂધમાં પલાળેલા)
એલચી પાવડર : ½ ટીસ્પૂન
બનાવવાની રીત
1. કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરો. તેમાં 2 કપ મખાના ઉમેરીને ધીમી આંચ પર 4-5 મિનિટ સુધી કરકરા થાય ત્યાં સુધી શેકો. શેકેલા મખાના ઠંડા થયા બાદ અડધા મખાનાને મિક્સરમાં અધકચરા વાટી લો અને બાકીના અડધા મખાના આખા રાખો.
2. બાકી રહેલા 1 ટેબલસ્પૂન ઘીમાં સમારેલા કાજુ, બદામ અને પિસ્તાને હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકી લો અને એક બાજુ રાખો.
3. એક મોટા વાસણમાં 1 લિટર દૂધ ઉકળવા માટે મૂકો. દૂધ ઉકળે ત્યારબાદ આંચ ધીમી કરી દો અને દૂધ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી લગભગ 7-8 મિનિટ ઉકાળો.
4. હવે દૂધમાં છીણેલો માવો ઉમેરો અને માવો દૂધમાં સંપૂર્ણપણે ભળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ આખા મખાના અને વાટેલા મખાનાનો પાવડર દૂધમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
5. ધીમી આંચ પર ખીરને 5-7 મિનિટ સુધી પકાવો, જેથી મખાના નરમ થઈ જાય અને ખીર ઘટ્ટ તથા ક્રીમી બને.
6. હવે તેમાં ખાંડ, પલાળેલું કેસર, શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી વધુ 2 મિનિટ ઉકાળો.
ગરમાગરમ અથવા ફ્રિજમાં ઠંડી કરીને માવા મખાના ખીર સર્વ કરો. ગણેશોત્સવમાં બાપ્પાને પ્રસાદ તરીકે ધરાવવા માટે આ ખીર એકદમ સ્વાદિષ્ટ વિકલ્પ છે.