શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 મે 2020 (10:00 IST)

ધરતીનો છેડો ઘર...સોરઠથી મધ્યપ્રદેશ જતાં શ્રમિકોનાં ચહેરા પર વતન વાપસીનો છલકાયો આનંદ

નાના-મોટા કે ગરીબ તવંગરને ઘરની યાદ આવે ત્યારે ઘરે પહોંચે પછી જ પોતીકા લોકોને મળવાથી શાંતીનો અનુભવ થાય છે. એટલે જ કહ્યુ છે કે પૃથ્વીનો છેડો ઘર.. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન પર આજે શ્રમિકોનાં ચહેરા પર વતન વાપસ જવાનો આનંદ છલકાતો હતો.
 
જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર, રેલ્વે તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના મોવાણા અજાબ બાલાગામ કાલવાણી, કણેરી, કેવદ્રા, મધરવાડા, પાણખાણ, સિલોદર સેંદરડા સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમા કામ કરતાં મધ્યપ્રદેશનાં ૧૨૫૦ જેટલા શ્રમિકોને ખાસ શ્રમિક રેલ દ્વારા વતનની વાટે પહોંચાડવાનો પ્રબંધ કરાયો હતો. 
 
રેલ્વે સ્ટેશન ખાતે તમામ શ્રમિકોનું સ્ક્રીનીંગ કરવા સાથે ફુડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી. આ શ્રમિકો રેલ્વે સ્ટેશન ખાતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પોલીસ સાથે વહીવટીતંત્રનાં અધિકારીઓ ખડેપગે રહ્યા હતા. 
 
જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીના માર્ગદર્શન તળે નાયબ કલેકટર જવલંત રાવલ, રેખાબા સરવૈયા, મામલતદાર ચૈાહાણ, ઊપરાંત લેબર ઓફીસર મહાવિરસિંહ પરમાર, પોલીસ અધિકારીઓ, આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબની  શ્રમિકો માટે રેલ્વેમાં તેમજ રેલ્વે પ્લેટફોર્મ પર વ્યવસ્થા કરવામાં સહયોગી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોરઠમાંથી શ્રમીકોને તબક્કાવાર તેમના વતનમાં મોકલવામાં આવનાર છે. જેની તમામ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્રારા કરવામાં આવી રહી છે.