1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 મે 2020 (17:45 IST)

સુરતમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ, APMC માર્કેટ પણ રહેશે બંધ

શહેરના લોકો માટે આજથી શાકભાજી મેળવવું મુશ્કેલ થશે. સુરત મહાનગરપાલિકાએ આજેથી શહેરમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં પણ APMC માર્કેટ પણ આજથી બંધ રહેશે. શહેરમાં 16 જેટલા શાકભાજી વિક્રેતાઓના કેસ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં સૌથી વધુ કેસ છે તે લિંબાયત અને વરાછા-એ ઝોનમાં લોકોને બે  દિવસમાં શાકભાજી અને કરીયાણાની ખરીદી કરી લેવા જણાવાયું હતુ. ત્યારબાદ 10થી વધુ પોઝિટિવ કેસ આવશે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવી દેવાનું એસએમસીએ કહ્યું હતું. માત્ર આ બે ઝોન જ નહી શહેરના દરેક મ્યુનિ. ઝોન માટે આ નિર્ણય લાગુ પાડવામાં આવ્યો હતો.

મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે ત્યાં  શાકભાજીવાળા, ડેરી પાર્લર, કરિયાણા સ્ટાર્સ  અને દવાની દુકાન ધારકોનું પણ ટેસ્ટીંગ શરૂ કરાયું છે. જેમાં 16 જેટલા વિક્રેતા પોઝિટિવ મળી આવ્યા હતા. તેમાં ડેરી ચલાવનારામાં ૪ કેસ, કરિયાણા સ્ટોર્સમાં પાંચ કેસ અને શાકભાજી, દૂધ વિક્રેતાઓમાં કેસ મળ્યા છે. જે વિસ્તારમાંથી શાકભાજી, કરિયાણા અને દુધના ધંધાર્થીઓના કેસ આવ્યા છે તે વિસ્તારમાં તમામ લોકોના સેમ્પલ લેવાશે. હાલમાં લિંબાયત અને વરાછા-એ ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. તેથી લોકોને એક-બે દિવસમાં શાકભાજી અને કરીયાણું ખરીદી  લેવા જણાવાયું છે. કારણ કે, આગામી એક-બે દિવસમાં જે વિસ્તારમાં ૧૦થી વધુ કેસ આવશે તે વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોને બંધ કરાવાશે. સૂચના બાદ પણ આવી દુકાનો ચાલુ રખાશે તો દુકાનોનું ગુમાસ્તાધારાનું લાયસન્સ જપ્ત કરાશે.