શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2022 (11:52 IST)

વડોદરાના ભાયલી ગામ પાસે આવેલા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી

ખોરાકની અસર થતા હાહાકાર મચી ગયો હતો. પેટમાં દુખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો કરનાર તમામ અસરગ્રસ્તોને ગોત્રી સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 3000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 
 
મળેલી માહિતી પ્રમાણે ભાયલી ગામ પાસેના રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયાર ના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગમાં 3000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોડી સાજથી શરૂ થયેલા જમણવારીમાં દૂધમાંથી બનાવવામાં આવતા મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ચીજ વસ્તુઓ હતી. આ ચીજ વસ્તુઓ પર મેંગો ડીલીટ ખાવાના કારણે લોકોને અસર થઈ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.  મોડી રાત્રે બનેલા બનાવને જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણને થતા તેઓ તુરત જ સ્થળ ઉપર દોડી ગયા હતા અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું.
 
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે રાયપુરા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં 226 જેટલા લોકોને મેંગોલાઇટ સ્વીટ ખાવાના કારણે ઝેરી અસર થઈ હતી. અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી. તે પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા  સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
 
 તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ  કામગીરીમાં 19 સર્વેલન્સ ટીમ 38 પેરા મેડિકલ સ્ટાફ 9 મેડિકલ ઓફિસર 3 તાલુકા હેલ્થ ઓફિસર કામે લગાડવામાં આવ્યું હતું  આ ગામમાં 4204 લોકો રહે છે. જે પૈકી 894 ઘરોમાં તબીબી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને અસર જણાતા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. રાયપુરા ગામમાં મોડી સાંજે બનેલા આ બનાવની જાણ જિલ્લા કલેકટર અતુલ ગોર તેમજ એકેડેમિક મેડિકલ ઓફિસર,  તાલુકા હેલ્થ ઓફિસરો દોડી ગયા હતા. અને અસરગ્રસ્તો ને વહેલામાં વહેલી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સૂચનાઓ પણ સ્ટાફને આપવામાં આવી હતી.
 
 રાયપુરા ગામ ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં આવતો હોવાથી ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને અસરગ્રસ્તોને જરૂરી સારવાર મળી રહે તેવી સૂચના આપી હતી. આ બનાવે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.