શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (10:48 IST)

રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં પૂજામાં જોડાયા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પરતું રથયાત્રા પહેલા આજે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી. 
 
ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી કિનારે મર્યાદિત લોકોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રાની પૂજાવિધિ કરવામાં આવી રહી છે. આજથી 15 દિવસ ભગવાન પોતાના મામાને ઘરે રહેશે. 
 
આજે જેઠ સૂદ પૂનમના દિવસથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે કોરોના કાળમાં સાદગીથી જળયાત્રા યોજવામાં આવી છે. માત્ર 50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં 5 ધ્વજપતાકા, 1 ગજરાજ અને એક કળશ જ રાખવામાં આવ્યા છે. પરંપરા મુજબ 18 ગજરાજને મંદિરમાં રખાયા છે. વિધિ મુજબ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી. 
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નદીની આરતી ઉતારી હતી. જોકે મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન , પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યાં નથી. ગંગાપૂજન કરીને પાણી કળશમાં ભરવામાં આવશે. પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. 
 
આજે ભગવાન જગન્નાથની ગુલાબી રંગના વસ્ત્રોનો શણગાર કરાયો છે. ભગવાનને ચઢાવવાનું જળ સાબરમતી નદીમાંથી લેવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે કોઈ વરઘોડો નથી, માત્ર સાદગીથી જળયાત્રા કાઢવામાં આવી છે. પાણી લઈને જળયાત્રા નીજ મંદિર પરત ફરે છે, જ્યા ભગવાન પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સરસપુરમાં મામાના ઘરે જશે. અહી તેમના લાડ લડાવવામાં આવે છે, અને તેમના ભાવતા ભોજન ધરાવવામા આવે છે. સરસપુરવાસીઓ બપોરે 3 વાગ્યા ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવશે. તે માટે વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ છે.
 
એક માન્યતા મુજબ આ દિવસથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘેર જાય છે અને આ દિવસથી મંદિરમાં તેમના દર્શન થતાં નથી. તેમની પ્રતિમાને સ્થાને માત્ર ફોટો મૂકવામાં આવે છે.ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળ સરસપુરમાં છે. તેમજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પૂનમના દિવસે નિજ મંદિરમાં પરત ફરે છે. તેની બાદ અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
 
મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈને પોલીસની પરવાનગી માંગવામાં આવી છે. પોલીસ સાથે સતત મિટિંગો ચાલી રહી છે. નિર્ણય લેવાઇ jash બાદ તેઓ તેને જાહેર કરશે. મંદિર દ્વારા રથયાત્રાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથનું સમારકામ, ગાજરાજોની ફિટનેસ, અખડીયાનોના કરતબ, મોસાળાના સહભાગીઓની પસંદગી વગેરે તૈયારીઓ જોવા મળી રહી છે.
 
નોંધનીય છે કે, AMC અને પોલીસની પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. રૂટ પરની ભયજનક વસ્તુઓ દૂર કરવામાં આવી રહી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા પણ રસ્તાને રીસરફેસ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.