બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 માર્ચ 2021 (19:56 IST)

#farmersprotest : મોદી સરકારના સંશોધન-પ્રસ્તાવમાં એવું શું હતું કે ખેડૂતોએ ફગાવી દીધો?

ખેડૂતોએ મોદી સરકાર દ્વારા અપાયેલા કૃષિકાયદાના નવા પ્રસ્તાવને ફગાવી દીધો છે અને કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
 
આંદોલનકારી ખેડૂતો છેલ્લાં બે સપ્તાહથી દિલ્હીની સિંઘુ બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે બજાર-સમર્થિત ત્રણેય કૃષિકાયદાને સરકાર રદ કરે, કેમ કે આનાથી તેમની આવક પ્રભાવિત થશે. જેને પગલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું ભવિષ્ય હવે અધ્ધર-તાલ જોવા મળી રહ્યું છે.
 
ખેડૂતોનાં સગઠનોએ કહ્યું છે કે 14 ડિસેમ્બરે તેમનું આદોલન વધુ વેગ પકડશે. આ દરમિયાન નવી દિલ્હી તરફ જનારા તમામ હાઈવે બંધ કરી દેવાની પણ જાહેરાત કરાઈ છે અને ટોલપ્લાઝાને પણ નહીં ચાલવા દેવાની ચીમકી ઉચ્ચાઈ છે.
 
મોદી સરકાર નવા કૃષિકાયદાથી કૃષિબજારને નિયંત્રણથી મુક્ત કરવા માગે છે. સરકાર ઇચ્છે છે કે કૃષિબજારમાં ખાનગી કારોબારીઓને વધારે મહત્ત્વ આપવામાં આવે અને સરકારને સબસિડી આપવી ન પડે.
 
ખેડૂતો સરકારની આ જ ઇચ્છાથી ડરેલા છે. તેમને લાગે છે કે તેમને અનાજ પતડતની કિંમત કરતાં પણ ઓછા મૂલ્યે વેચવું પડશે. હરિયાણા અને પંજાબના ખેડૂતોને ન્યૂનતમ સમર્થન સમર્થન મૂલ્ય અને સરકારી ખરીદીનો સૌથી વધુ ફાયદો મળે છે.
 
બીજી તરફ બિહાર જેવાં રાજ્યો કે જ્યાં આ સિસ્ટમ અમલમાં નથી ત્યાં ખેડૂતોને નહિવત્ કિંમતોએ અનાજ વેચવું પડે છે.
 
ખેડૂતોનું કહેવું છે કે સરકાર કૃષિકાયદા મારફતે ખેતીને કૉર્પોરેટને સોંપી દેવા માગે છે.
 
બુધવારે સરકારે ખેડૂતોની ચિંતા દૂર કરવા પ્રયાસ કર્યો અને કેટલાંક લેખિત આશ્વાસન પણ આપ્યાં. સરકારે કથિત મુક્ત બજારમાં રાજ્યોની ભૂમિકા વધારવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી ચાલુ રાખવા માટે લેખિતમાં આશ્વાસન આપ્યાં.
 
આના થકી રાજ્ય સરકાર પોતાની મેળે વસ્તુઓ નક્કી કરી શકશે. સરકારે બીજા પ્રસ્તાવમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિગમાં ખેડૂતો માટે કાયદાકીય કવચ મજબૂત કરવાની વાત કરી. આ કવચને પગલે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની કાર્યવાહી સામે સુરક્ષા મળશે.
 
સંશોધન પ્રસ્તાવમાં કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલના હસ્તાક્ષર છે. સરકારનું કહેવું છે કે આ સંશોધનોથી ખેડૂતોને બજારનો મુકાબલો કરવામાં સરળતા રહેશે અને આત્મવિશ્વાસ પણ મળશે. જોકે, ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.
 
કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂતો હવે શું કરશે?
ખેડૂતોને સરકાર દ્વારા મળેલા પ્રસ્તાવની તસવીર
 
દિલ્હીની સિંઘુ બૉર્ડર પર કૃષિકાયદાઓ રદ કરાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારે આપેલો સુધારણાનો પ્રસ્તાવ ફગાવી દીધા બાદ આંદોલનને વધુ ઉગ્ર કરવાનો નિર્ણય કર્યો છે.
 
બુધવારે ખેડૂતનેતાઓએ એક સંવાદદાતા-સંમેલન કરીને સ્પષ્ટ કર્યું છે કે સરકારે મોકલેલો પ્રસ્તાવ માનવા માટે તેઓ તૈયાર નથી અને આંદોલનને તેજ કરાશે.
 
ખેડૂતનેતાઓએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં સંઘર્ષને વધુ આક્રમક બનાવવામાં આવશે અને ભાજપના નેતાઓને વિરોધ કરાશે તથા આંદોલન ખતમ નહીં થાય.
 
સંવાદદાતા સંમેલનમાં ખેડૂતોએ શું કહ્યું?
 
સરકારી પ્રસ્તાવ બાદ જ વાતચીત કરવાની વાત હતી પરતું ખેડૂતોના પ્રતિનિધિઓએ બેઠકમાં આ પ્રસ્તાવને રદ કરી દીધો અને હવે વાતચીતને લઈને કોઈ સ્પષ્ટતા નથી.
જો સરકાર નિમંત્રણ આપશે તો પરિસ્થિતિને જોઈને નિર્ણય કરાશે.
12 તારીખે દિલ્હી-જયપુર હાઈવે, દિલ્હી-આગરા એક્સપ્રેસ-વેને બંધ કરવામાં આવશે અને એક દિવસ માટે સમગ્ર દેશના ટોલપ્લાઝા ફ્રી કરી દેવાશે.
દિલ્હી અથવા રેલવેને બંધ કરવાનો કોઈ કાર્યક્રમ નહોતો પરંતુ હવે અમે દિલ્હી-જયપુર હાઈવે બંધ કરવાનો નિર્ણય કરાયો.
ભાજપના મંત્રીઓનો ઘેરાવ કરવામાં આવશે અને બહિષ્કાર કરાશે.
પંજાબ, હરિયાણા, યૂપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 14 તારીખે ધરણાંપ્રદર્શન કરવામાં આવશે. જેઓ ધરણાં નહીં કરે તેઓ દિલ્હી કૂચ કરશે. અંબાણી અને અદાણીનો મજબૂત વિરોધ કરાશે.
જે સમયે ખેડૂત નેતાઓ પત્રકારપરિષદ યોજી રહ્યા હતા એ વખતે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતે પહોંચ્યા હતા.
 
એ જ સમયે વપક્ષનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતે પહોંચ્યું હતું. તેમાં રાહુલ ગાંધી, સીતારામ યેચૂરી, શરદ પવાર સહિતના નેતાઓ સામેલ હતા.
 
સામ્યવાદી નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપ્યું છે અને વિનંતી કરી છે કે વગર ચર્ચા અને સલાહ લીધા વિના બિનલોકતાંત્રિક રીતે પસાર કરાયેલા (કૃષિકાયદા અને વીજળીબિલ સંશોધનકાનૂન)ને પરત લેવામાં આવે.
 
એનસીપી નેતા શરદ પવારે પણ કહ્યું છે કે ઠંડીમાં ખેડૂતો રસ્તા પર છે અને નારાજ છે. સરકારની જવાબદારી છે કે તેઓ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે.
 
કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ઠુકરાવાયો
 
સિંઘુ બૉર્ડર પર કૃષિકાયદાઓ રદ કરાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારે આપેલો સુધારણાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
 
બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવે કહ્યું છે કે ખેડૂતોએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે અને તેઓ જલદી આ વિશે મીડિયા સાથે વાત કરશે.
 
'સ્વરાજ પાર્ટી'ના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકારના પ્રસ્તાવમાં સંશોધનની સલાહ હતી, જેને તમામ ખેડૂતો સંગઠનોએ એક સૂરે નકારી કાઢી છે