મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 4 નવેમ્બર 2022 (13:04 IST)

આજથી અરવિંદ કેજરીવાલ પાંચ દિવસ ગુજરાત પ્રવાસે, બપોરે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે

kejriwal
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે આવી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. આજે બપોરે આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે.



પંજાબની જેમ જ ગુજરાતમાં જનતા પાસેથી મુખ્યમંત્રીના ચહેરા અંગે અભિપ્રાય માગી અને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવનાર છે. ત્યારે સૌથી વધારે અભિપ્રાય આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી પાંચ દિવસની ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં તેઓ આજે બપોરે સૌથી પહેલા રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરા અંગેની જાહેરાત કરશે જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓના નામ મુખ્યમંત્રીના ચેહરા તરીકે ચર્ચામાં છે જોકે આજે બપોરે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજ્યમાં વિવિધ જગ્યાએ રોડ શો અને જનસભાને સંબોધન કરશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ રોડ શો અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે.