બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (11:13 IST)

ગુજરાતમાં નવી પોર્ટ પોલિસી જાહેર, ઊદ્યોગો અને પોર્ટ સેક્ટરમાં વધુ રોકાણની આશા

ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા નવી બંદરીય નીતિ-પોર્ટ પોલિસીની જાહેરાત કરી છે. ઉદારીકરણના પગલાંઓને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માંગને સુસંગત આ નવી પોર્ટ પોલિસી તેમણે જાહેર કરી છે. ગુજરાત પોર્ટ સેકટર અને ઔદ્યોગિકરણના વિકાસમાં હરણફાળ ભરીને તેમજ પોર્ટ પોલિસીના માધ્યમથી મધ્યપૂર્વીય દેશો, આફ્રિકા અને યુરોપથી સમુદ્રી માર્ગે આવતા માલ-સામાનનું ગેટ વે બન્યું છે. 
 
મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત ૩ર કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે. એટલું જ નહિ, વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનેદારો કાર્ગો હેન્ડલીંગની સુવિધાઓમાં વધારો કરવા, વિસ્તૃતીકરણ – એકસ્પાન્શન અને આધુનિકરણ – મોર્ડનાઇઝેશન માટે વધારાનું રોકાણ કરી શકશે.
 
ઔદ્યોગિક એકમો અને સહભાગીદાર કંપનીઓની સાનૂકુળતા માટે રાજ્ય સરકારે ગૃપ કંપની કાર્ગો હેન્ડલ કરવા માટેની છૂટ આપવાની જોગવાઇ પણ આ પોર્ટ પોલિસીમાં રાખી છે. હાલમાં કાર્યરત કેપ્ટીવ જેટી કંપની-ટર્મિનલ કંપનીઓ પોતાની ગૃપ કંપનીના કાર્ગો આ પોલિસી અંતર્ગત આવી જેટી પરથી હેન્ડલ કરી શકશે. વિજય રૂપાણીની રાજ્ય સરકારે આ પોલિસી મુજબ હયાત કેપ્ટીવ જેટી સાથે થયેલા કરાર અનુસાર કેપ્ટીવ જેટી હોલ્ડરની બધી જ સુવિધાઓ ચાલુ રાખી નવા મૂડીરોકાણ, પ૦ ટકાથી વધારે થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરવાના દ્વાર પણ ખોલી આપ્યા છે.
 
કેપ્ટીવ જેટી હોલ્ડર આ માટે વાર્ફેજ ચાર્જિસ બમણા – ડબલ ભરીને બીજી કંપનીઓનો કાર્ગો પણ વહન કરી શકશે તેમ આ પોલિસીમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની વર્તમાન સરકાર પારદર્શક નીતિઓને અનુસરતી આવેલી છે. તદ્દનુસાર, બંદરીય ક્ષેત્રમાં પણ કોઇ પણ ઊદ્યોગ સાહસિક ભાગ લઇ શકે તે માટે આ નવી નીતિમાં જોગવાઇ કરી છે.
 
આ જોગવાઇઓ મુજબ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સમયાંતરે EOI (એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ) બહાર પાડશે અને નવા સાહસિકોને ઓછામાં ઓછું રૂ. ૩૦૦ કરોડનું મૂડીરોકાણ કરવું પડશે અને પાંચ મીલીયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવાની રહેશે. આ નીતિમાં એવું પણ સુચવવામાં આવ્યું છે કે, નવા સાહસિકો દ્વારા પસંદ કરવામાં આવેલ જેટીની જગ્યા હયાત જેટીથી ઓછામાં ઓછી ૩ કિ.મી. દૂર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખાનગી બંદરની પોર્ટ લિમીટની બહાર હોવી જોઇએ.
 
રાજ્ય સરકારે દહેજ અને હજીરા બંદરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાને લઇને આ બે સ્થળોએ ખાસ કિસ્સામાં પ્રવર્તમાન જેટી થી ઓછામાં ઓછું ૧ કિલો મીટર અંતર હોવું જોઇયે તેવી જોગવાઇ પણ કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના બંદરગાહોના વિકાસને ધ્યાને રાખીને આકર્ષક નીતિઓ બહાર પાડેલી છે. આ નવી નીતિના પરિણામે ૧૬૦૦ કિ.મી.નો લાંબો સમુદ્રકિનારો ઉત્તર અને મધ્ય ભારતની તમામ આયાત-નિકાસનું પ્રવેશદ્વાર બનશે.
 
આ પારદર્શી નીતિની ફલશ્રુતિએ નવા સાહસિકો રાજ્યના પોર્ટ ડેવલપમેન્ટમાં સહભાગી થઇ શકશે તેમજ ક્રૂડ ઓઇલ, કોલસો તેમજ નેચરલ ગેસ અને એલ.પી.જી. આયાત માટે આ નવી નીતિ ઉપયુકત અને કારગત નિવડશે. વિજય રૂપાણીએ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસીથી કેપ્ટીવ જેટીના વેલ્યુએડીશન, કેપ્ટીવ જેટી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીને નવા રોકાણોથી કેપેસિટી બિલ્ડીંગ મોર્ડનાઇઝેશન, મિકેનાઇઝેશન અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ – ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની તક મળતી થશે.
 
નવી બંદર નીતિથી થશે આ ફાયદાઓ- 
- કેપ્ટીવ જેટી પરના નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે. 
- કોમર્શીયલ પોર્ટ એકટીવીટીઝની ક્ષમતા ૭૯.પ MMTPA થી વધી શકે છે. 
- માળખાગત સુવિધાઓમાં રૂ. ૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ શકય બનશે. 
- રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલીંગમાં ગુજરાતનો સંભવિત હિસ્સો ૪૧ %થી વધીને ૪૬% થઇ શકે છે. જેને લીધે પોર્ટના વિકાસની વ્યૂહરચનાને પ્રોત્સાહન મળશે. 
- રૂ. ૭૦,૦૦૦ કરોડથી વધુનો આર્થિક લાભ થઇ શકે છે. 
- સંભવિત રોજગારની રપ,૦૦૦ થી વધુ તકોનું નિર્માણ થઇ શકે છે. 
- ગુજરાત સરકારની સંભવિત આવક રૂ. ૪૦૦ કરોડથી વધી શકે છે. 
- કોસ્ટલ શીપીંગમાં વૃધ્ધિ થવા ઉપરાંત લોજીસ્ટીક કોસ્ટમાં ઘટાડો કરવામાં આ નીતિ સહાયક નીવડશે.