1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (15:18 IST)

દિવાળી નજીક છતાં રેલવે વિભાગે વિશેષ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ મૂંઝવણમાં, હાલ 300થી વધુ ટ્રેનોમાં વેઇટિંગ

railway department did not announce special trains
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો વેકેશનની રજાઓ દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી તહેવારોને લઈને વિશેષ ટ્રેનના સંચાલન અંગે જાહેરાત ન કરાતાં પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે.
 
દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. જેમાંથી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. જોકે આ વર્ષે તહેવાર માટે વિશેષ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. જેના કારણે પ્રવાસીઓ અટવાયા છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. 
 
નવભારત ટુર્સના સંચાલક રોહિત ઠક્કરનું કહેવું છે કે, પાછલાં વર્ષોના અનુભવને આધારે વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં બુકિંગ થઇ જતું હોય છે. મોટા રૂટ પર હાલ ફ્લાઈટના ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે, તેવામાં એક માત્ર રેલવે સામાન્ય જનતા માટે પરવડે એવું માધ્યમ છે. એક તરફ ફ્લાઈટમાં 100% કેપિસીટી સાથે ઉડાનનું સંચાલન કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તો ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ કેમ રાખવામાં આવી છે? હાલ કેટલીક ટ્રેનો બંધ છે. જેના કોચ પણ જે છે તે જ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જો તે કોચનો ઉપયોગ કરવામાં આવે તો રેલવેને ફાયદો થઈ શકે છે. 
 
અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રાનું કહેવું છે કે, દિવાળીની સાથે બિહારમાં છઠ પૂજાના તહેવાર માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે. જો ટ્રેન માટે પણ વહેલી તકે જાહેરાત થાય તો પ્રવાસીઓ માટે મોટી રાહત મળી શકે છે. હાલની ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે