ભારતના વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ જણાવ્યું છે કે ગુરૂવારે થનારી પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીની બેઠકમાં પણ કસાબની ફાંસી પર સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલી બહાલીનો મુદ્દો ઉઠશે. તેમણે કહ્યું હતું કે ભારત કોઈપણ સંજોગોમાં પોતાની ભૂમિ પર આતંકવાદ સહન કરશે નહીં.
ભારતે બિનજોડાણવાદી દેશોને જણાવ્યું હતું કે આતંકવાદને કોઈ કિંમતે સહન નહીં કરાય. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્વિક નાણાંકીય સંસ્થાનોમાં મોટા પાયે સુધારાનો પક્ષ લેતા કહ્યું હતું કે તે વિકાસશીલ દેશોના હિતમાં છે. 16મા બિનજોડાણવાદી શિખર સમ્મેલનમાં હિસ્સો લેવા વિદેશ પહોંચેલા વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ જણાવ્યું હતું કે આતંકવાદ આ સમયનો સૌથી મોટો અભિશાપ છે. તે આપણા બહુવાદી સમાજના સામાજીક અને આર્થિક તાણાંવાણાંને નિશાન બનાવી રહ્યો છે.
બિનજોડાણવાદી દેશોના વિદેશમંત્રીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદની વિરૂદ્ધની જંગને મોટા સ્તર પર લઈ જવાની જરૂર છે. આતંકવાદના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની રહેશે. હવે સમય આવી ગયો છે કે આપણે જરૂરી રાજનીતિક ઈચ્છાશક્તિ બતાવવી પડશે અને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર મોટાપાયે સમ્મેલન આયોજીત કરવા પર રાજી થવું પડશે.
સંયુક્ત વૈશ્વિક શાસન પ્રણાલીથી સ્થાઈ શાંતિ વિષય પર બોલતા કૃષ્ણાએ સીરિયાની પ્રવર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે અથડામણો તેમજ વધારે પડતાં સૈન્યકરણને સમાપ્ત કરવું જરૂરી છે.