જો નરેન્દ્ર મોદીને પી એમ પદનાં ઉમેદવાર જાહેર કર્યા તો, અડવાણી ફરી 'બિમાર' પડશેઃ નિષ્ણાંતોનું અનુમાન
લાલકૃષ્ણ અડવાણીએ રાજીનામુ પાછુ ખેંચી લીધા પછી ભાજપ અને સંઘના નેતાઓએ ભલે રાહતનો દમ લીધો પરંતુ સવાલ એ છે કે, શું સંકટ સમાપ્ત થયુ છે કે ટળ્યુ છે ? જે રીતે અડવાણી ખુદ મીડીયા સમક્ષ ન આવ્યા તેનાથી એવુ માનવામાં આવે છે કે, મામલો ભલે થોડા દિવસ માટે ઠંડો પડી જાય પરંતુ આવતા દિવસોમાં ફરી એક વખત વિવાદ ઉભો થઇ શકે છે. ખાસ કરીને વડાપ્રધાન પદ માટે પ્રોજેકટ કરવાને લઇને પક્ષને ફરી વખત અડવાણીના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. ભાજપના સુત્રોનું કહેવુ છે કે અડવાણીએ હજુ પુરી રીતે શસ્ત્રો મ્યાન નથી કર્યા. જો કે તેઓએ એવુ સ્વીકારી લીધુ છે કે, પક્ષમાં હવે તેમની અગાઉ જેટલી તાકાત નથી રહી અને આ જ કારણે તેઓએ હાલ યુધ્ધ વિરામનો રસ્તો પસંદ કર્યો છે. પક્ષના અનેક નેતાઓનું માનવુ છે કે જે રીતે સંઘના વડા મોહન ભાગવતને મનમણા માટે મજબુર થવુ પડયુ તેનાથી લાગે છે કે, આવતા દિવસોમાં સુરેશ સોનીની જવાબદારીમાં ફેરફાર થઇ શકે છે. અડવાણીની નારાજગી સુરેશ સોનીને લઇને પણ હતી અને તેમણે પક્ષના નેતાઓ સમક્ષ ઉલ્લેખ પણ કર્યો હતો.