Last Modified: સોમવાર, 16 સપ્ટેમ્બર 2013 (10:47 IST)
મોદી છે 'થ્રીD' નેતા
P.R
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતાં ભાજપના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવારનું નામ ત્રણ ‘ડી’- ડાયનેમિઝમ, ડિસિસિવનેસ, અને ડેવલપમેન્ટ સાથે સંકળાયેલું છે.
ભાજપના રાજ્ય એકમના નેતાઓની બેઠક વખતે એક આડવાત કરતા તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ‘ભાજપના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે મોદીના નામની જાહેરાત કરવામાં આવ્યા પછી માત્ર પક્ષમાં જ નહીં પણ દેશમાં જાણે નવો વીજળિક પ્રવાહ વહી રહ્યો છે. દરેક જણ ખુશ છે. પક્ષે આ નિર્ણય ખૂબ સમયસર લીધો છે.
નાયડુના જણાવ્યા પ્રમાણે ભાજપના પીઢ નેતા એલ. કે. અડવાણી પક્ષના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીનું નામ જાહેર કરાયું તેની વિરુદ્ધમાં નહોતા, પણ ચાર રાજ્યમાં ચૂંટણી થયા પછી એ જાહેરાત કરવામાં આવે તેમ ઈચ્છતા હતા. ‘અમારો લોકશાહી પક્ષ છે અને એટલે એ પક્ષ (મોદીનું નામ પીએમ પદ માટે જાહેર કરવાનો ) નો નિર્ણય છે.’
કૉંગ્રેસને ટોણો મારતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસમાં કોઈ (યોગ્ય) (પીએમ પદ માટે) વ્યક્તિ નથી. જનસંઘના દિવસો દરમિયાન અમારી પરિસ્થિતિ એવી જ હતી. તેઓ (કૉંગ્રેસ) એમ કહેતા હતા કે તેમની પાસે પંડિત જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી છે
અને અમને પૂછતા હતા કે ‘તમારા પક્ષ પાસે કોણ છે’ ?
તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી વિકાસ અને સુશાસન વ્યવસ્થાના મુદ્દા પર લડવી જોઈએ.