1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 એપ્રિલ 2014 (15:22 IST)

૧૩ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું બ્યૂગલ વાગી શકે છે

લોકસભાની ચૂંટણી લડાઇ રહી છે અને ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસ- એનસીપીએ પોતાના ધારાસભ્યોને પણ મેદાનમાં ઉતાર્યા છે તેથી જે કોઇ ધારાસભ્ય લોકસભામાં ચૂંટાય તો આગામી છ મહિનામાં ઓછામાં ઓછું ૧૩ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું બ્યૂગલ વાગી શકે છે.
 
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, બે મંત્રીઓ લીલાધર વાઘેલા અને જસવંતસિંહ ભાભોર તથા અન્ય પાંચ ધારાસભ્યોને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષે વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ઉપરાંત પાંચને ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. ૧૬મીએ જે પરિણામ આવે તે મુજબ જો ધારાસભ્યો વિજયી બને તો, ગમે તે એક સદનનું કાં તો લોકસભાનું અથવા તો વિધાનસભાનું સભ્યપદ જ રાખી શકશે. હાલના સંજોગોમાં ધારાસભ્ય તરીકે રાજીનામુ અપાય તેવી શક્યતાઓ વિશેષ રહે. આવા સંજોગોમાં પેટા ચૂંટણીની સ્થિતિ ઊભી થશે. વળી, વડોદરામાં નરેન્દ્ર મોદી સામેના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી રાજ્યસભાના સભ્ય છે. જો તેઓ વિજયી બને તો રાજ્યસભાની કે લોકસભા - બેમાંથી એકની પસંદગી કરવી પડશે.
 
આમ તો ગુજરાતમાંથી ચૂંટાઇને રાજ્યસભામાં ગયેલા ભાજપના અરૃણ જેટલી અને સ્મૃતિ ઇરાની અનુક્રમે અમૃતસર અને અમેઠીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની તરફેણમાં ચુકાદો આવે તો ત્યારે પણ મિસ્ત્રી જેવી જ સ્થિતિ પેદા થઇ શકે છે.