શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 12 નવેમ્બર 2014 (15:01 IST)

ઘરે ઘરે શૌચાલયના મિશન હેઠળ આડેધડ શૌચાલયો મંજૂર કરીને કરોડો રૂપિયાનું આંધણ

ગુજરાતમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન દરમિયાન ઘરે ધરે શૌચાલયના મિશન હેઠળ આડેધડ શૌચાલયો મંજૂર કરીને કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ બંધાયેલા શૌચાલયોનો ઉપયોગ જ ન કરી શકાય તેવો ઘાટ સરકારી તંત્ર દ્વારા ઘડાયો હતો. ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી ચલાવાયેલા આ અભિયાનમાં ફાળવાયેલી રકમના માત્ર ૪૩ થી ૬૦ ટકા જેટલી જ રકમ વાપરવામાં આવી હતી એટલું જ નહીં ભ્રષ્ટાચારની બૂ આવે તેવી હકીકત તો એ છે કે, ૨.૮૦ કરોડના ખર્ચે બંધાયેલા શૌયાલયો ઉતરતી કક્ષા કે શોષ ખાડા વગરના હોવાથી તે નકામા બની ગયા હતા. યોજનાઓ અને તેના અમલીકરણમાં ચાલતી મંથરગતિના કારણે ૨૦૧૩ ની સ્થિતિએ રાજ્યમાં ૩૨.૯૫ લાખ પરિવારો શૌચાલય વિહોણા હતા જ્યારે શૌચાલયોના ઉપયોગ કરતા હોય તેવા માત્ર ૪૬ ટકા પરિવારો જ હતા.

ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કેગના ૨૦૧૩ ના વાર્ષિક ઓડિટ અહેવાલમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનની પોલ ખોલવામાં આવી હતી. કેગના અહેવાલમાં જણાવ્યા અનુસાર યોજનાની માર્ગદર્શિકાની જોગવાઇઓથી વિપરીત જઇને શૌચાલયો તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ નબળી ગુણવત્તાના કારણે હજારો શૌચાલયો ઉપયોગમાં લઇ શકાય તેવી હાલતમાં નહોતા જેના કારણે રૂ.૨.૮૦ કરોડનો ખર્ચ વ્યર્થ ગયો હતો. આ ઉપરાંત શૌચાલયો બાંધવાના લક્ષ્યાંક પણ ઘણો નીચો હતો. કેગે એવું પણ નોંધ્યું હતું કે, શૌચાલયો બાંધવામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામપંચાયતોને પુરસ્કારની રૂ.૬.૮૦ કરોડની રકમ પણ સ્વચ્છતા અભિયાન માટે વાપરવા માટે આપવામાં આવી નહોતી. માર્ચ ૨૦૧૨ સુધીમાં ૪૦૪૩૯ શાળામાં શૌચાલયો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ ૩૬૪૩૮ શૌચાલયો બાંધવામાં આવ્યા હતા તેમજ પાંચ હજાર જેટલી આંગણવાડીઓ શૌચાલયની સુવિધા વગરની હતી. માથે મેલું ઉપાડવા પર પ્રતિબંધ હોવા છતાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી રિપોર્ટ મુજબ રાજયમાં માથે મેલુ ઉપાડવાના બનાવો નોંધાયા હતા.