1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 1 મે 2024 (11:40 IST)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

modi in gujarat
modi in gujarat
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો પર જીત મેળવવા માટે કમર કસવામાં આવી છે. સ્ટાર પ્રચારકો દ્વારા ધુંવાધાર પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ હવે રાજયમાં કેટલીક બેઠકો પર જંગી જનસભાઓને સંબોધવાના છે. વડાપ્રધાન આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 
 
બે દિવસમાં છ જેટલી સભાઓ સંબોધશે
આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન આજથી બપોરે ત્રણ કલાકે બનાસકાંઠાના ડિસામાં સભાને સંબોધન કરવાના છે. ત્યાર બાદ સાંજે પાંચ વાગે સાબરકાંઠામાં હિંમતનગરમાં સભાને સંબોધન કરશે. બીજી મેના રોજ સવારે 11 કલાકે આણંદ અને બપોરે એક કલાકે સુરેન્દ્રનગરમાં સભાઓ સંબોધશે. ત્યાર બાદ વડાપ્રધાન જૂનાગઢ જશે અને સાડા ત્રણ વાગે સભાને સંબોધિત કરશે. જ્યારે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જીતાડવા માટે વડાપ્રધાન સાંજે પાંચ વાગે સભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ સીધા પશ્ચિમ બંગાળ જવા રવાના થશે. 
 
વડાપ્રધાન જામનગર ખાતે સભા યોજી બંગાળ રવાના થશે
એક તરફ રુપાલા વિવાદના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાંકલ કરવામા આવી છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી જાહેર સભા કરીને પ્રચારનો પ્રારંભ કરે તેવી વાત હતી પરંતુ ક્ષત્રિય આંદોલનના પગલે આ કાર્યક્રમમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજકોટ બેઠકની સભા વઢવાણ ખાતે યોજાશે. તેમની છેલ્લી સભા જામનગર ખાતે યોજાશે. ત્યારબાદ તેઓ છઠ્ઠી મેના રોજ રાત્રે ફરી ગુજરાત આવશે અને સાતમીએ તેઓ અમદાવાદ આવીને મતદાન કરશે.
 
6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો ખડેપગે
સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તા. 21-11-22ના રોજ જાહેરસભાને સંબોધી હતી. અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો હતો. ત્યારે દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન હોય સુરક્ષા વ્યવસ્થા પણ સુરેન્દ્રનગરમાં ચુસ્ત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સીકયોરીટી એસપીજીની ટીમ પણ સભા સ્થળની મુલાકાત લઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાની આગેવાનીમાં સભા સ્થળની આસપાસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જયારે રાજયના એડીશનલ ડીજી અભય ચુડાસમા સહિત 6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધીકારીઓ અને જવાનો તા. 2જી મેના રોજ ખડેપગે રહેશે.