1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (22:52 IST)

જાહેર સમારંભોમાં ર૦૦ને બદલે ૪૦૦ વ્યક્તિની છૂટ, સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ ગણેશ પ્રતિમા ૪ ફુટ સુધીની રાખી શકાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧ જૂલાઈ થી એક કલાક ઘટાડવામાં આવી છે.
 
એટલે કે આ ૮ મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ  રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો છે તે ૩૧ જૂલાઈથી રાત્રિના ૧૧.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ ૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ  રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
 
રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે. તે તારીખ ૩૧ જૂલાઈ થી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.
 
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો  નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.
 
કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, વન મંત્રી ગણપતસિંહ વસાવા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.