1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 28 જૂન 2024 (15:55 IST)

દિલ્હીમાં વરસાદના કારણે ફ્લાઈટ રદ થતાં અમદાવાદ આવતા 180 મુસાફરો રઝળ્યા

દિલ્હીમાં વહેલી સવારે જોરદાર વરસાદ થતા એરપોર્ટ પર ટર્મિનલ-1ની દીવાલ તૂટી પડતા દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના અને હવામાનની અસર અમદાવાદની હવાઈ મુસાફરી પર પડી છે. દિલ્હીથી આવતી એક ફ્લાઈટ અને અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ એમ બે ફ્લાઈટ રદ કરવી પડી છે. જ્યારે દિલ્હીથી આવતી એક ફ્લાઈટ અઢી કલાક મોડી પડી છે.જેથી એરપોર્ટ પર અમદાવાદ આવતા મુસાફરો રઝળી પડ્યા હતાં. 
 
ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી
દિલ્હીથી અમદાવાદ એરપોર્ટની વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઈટ અવરજવર કરતી હોય છે. આજે સવારે દુર્ઘટના થતા સવારે 7:35 વાગ્યે દિલ્હીથી અમદાવાદ આવનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી સવારે 10 વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જેને કારણે 180 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. તેમજ સવારે 9.10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરીને 10.40 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પર આવનારી ફ્લાઈટ દીવાલ પડવાની દુર્ઘટનાથી રદ થઈ છે. જેને કારણે ઇંડિગો એરલાઇન્સના મુસાફરો રઝળી પડ્યા હતા.તમામ તૈયારી સાથે નીકળેલા પેસેન્જરો રઝળી પડ્યા હતા જેથી તેમને દિલ્હી પહોંચવા માટે અન્ય સમયે ફ્લાઈટનો સહારો લેવો પડશે. 
 
દિલ્હી એરપોર્ટ દેશમાં સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટમાંનું એક છે
દિલ્હી એરપોર્ટ ઉપર અનેક કનેક્ટિંગ ફ્લાઈટ પણ પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદથી દિલ્હી જતા કનેક્ટિંગ ફ્લાઈટવાળા મુસાફરો દુર્ઘટનાથી તેમના સફરની આગળની ફ્લાઈટ પકડી શકશે નહીં.દિલ્હીમાં ભારે વરસાદ અને ઝડપી ગતિથી પવન ફૂંકાવાને કારણે 28 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એરપોર્ટ દેશમાં સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટમાંનું એક છે. ત્યાં ડોમેસ્ટિક ફ્લાઇટ સહિત ઇન્ટરનેશનલ પણ વધુ માત્રામાં ફ્લાઇટોની અવરજવર રહેતી હોય છે તેવામાં 28 જેટલી ફ્લાઇટ રદ થતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો વેઠવો પડશે.