1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (16:54 IST)

વડતાલ ગાદીના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીને ભાન થયું, ખોડિયાર માતાજીના નિવેદન અંગે વીડિયો જાહેર કરી માફી માંગી

Brahmaswarupdas Swami
Brahmaswarupdas Swami
ગુજરાતમાં સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો બાદ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. સ્વામીનારાયણના સંતો દ્વારા કરાયેલા બેફામ વાણીવિલાસના વીડિયો વાયરલ થતાં ભક્તો અને સંતોમાં રોષ ફેલાયો હતો. ત્યાર બાદ વડતાલ ગાદીના બ્રહ્મસ્વરૂપદાસજીએ જોગમાયા ખોડિયાર માતાજી પર નિવેદન આપતાં બળતામાં ઘી હોમાયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

સ્વામીનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેઓ ખુદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. ત્યારે આજે તેમણે વીડિયો જાહેર કરીને પોતાના નિવેદનને લઈને માફી માંગી છે. ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા. બ્રહ્મસ્વરૂપદાસના આ નિવેદન બાદ ભક્તો અને વિવિધ સમાજ રોષે ભરાયા હતાં. હવે તેમણે વધુ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહ્યું છે કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે,  શ્રી ખોડિયાર માતાજી અને એમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ તથા ખોડિયાર માતાજીનાં મંદિરો, સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનુ કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી ખંડન કરવાનો નહોતો છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી સાથે હાથ જોડીને ક્ષમાયાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપું છું.