ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (12:57 IST)

કોરોના વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત, આ દિવસે યોજાશે મતદાન

ગુજરાત ચૂંટણી કમિશને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલના રોજ યોજાશે. જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવશે. ગાંધીનગરમાં 11 વોર્ડની 44 સીટો માટે ચૂંટણી યોજાશે. 
 
ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઇ છે. આ ચૂંટણીમાં  ભાજપનો ભવ્ય વિજય થયો છે. ચૂંટણી પંચે ચૂંટણીની આચાર સંહિતા 27 એપ્રિલથી લાગૂ થશે. એક એપ્રિલના દિવસે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. 
 
જ્યારે 3 એપ્રિલના રોજ ઉમેદવારી પરત ખેંચી શકશે અને પાંચ એપ્રિલના રોજ તેની અંતિમ તારીખ છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણી 18 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી યોજાશે. 
 
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મતદાન દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. દરેક કેન્દ્રએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણી માટે 248 કેન્દ્ર બનાવવામાં આવશે. 
 
ચૂંટણી ના કાર્યક્રમ પર નજર કરીએ તો 
 
27 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થશે 
 
1 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 
 
3 એપ્રિલ ઉમેદવારી પત્રોની ચકાસણી 
 
5 એપ્રિલ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ
 
18 એપ્રિલે મતદાન 
 
20 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે
 
ગાંધીનગર મહાનગરપાલિકાની આ ત્રીજી ચૂંટણી છે.  આ પહેલાની બંને ચૂંટણીઓમાં રાજકીય તડજોડ જોવા મળી હતી. વર્ષ 2010માં ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 2011માં ચૂંટણી યોજાઈ હતી. 11 વોર્ડની 33 બેઠકો માંથી કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી.  શહેરના પ્રથમ મેયર તરીકે કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણાએ સત્તા સંભાળી હતી જો કે 2.5 વર્ષની ટર્મ પુરી થયા પહેલા  તેમણે બળવો કર્યો હતો અને 3 સભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા અને મહાનગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો. જો કે ત્યારબાદ સમગ્ર મેટર કાયદાકીય ગૂંચમાં પણ ફસાઈ હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ચૂંટણી તારીખો જાહેર કરવામાં પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે કે કોરોના ચૂંટણીને નડતો નથી. ત્યારે આજે રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1415 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 948 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 335, સુરતકોર્પોરેશનમાં 349, વડોદરાકોર્પોરેશનમાં 127 અને રાજકોટકોર્પોરેશનમાં 115 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 1, રાજકોટમાં 1, સુરતમાં 1 અને સુરેંદ્રનગરમાં 1 એમ કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,83,864 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,73,280 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,437 પર પહોંચ્યો છે.