શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (14:28 IST)

નાગરિકતા કાયદાના સમર્થન માટે ગુજરાત વિધાનસભાનું ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સત્ર યોજાશે

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતી સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણ માટેના કરાયેલા ઐતિહાસિક સુધારાને પણ બહાલી આપવા માટે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી તા. ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બોલાવવાનું રાજ્યપાલ દ્વારા આહ્વાન કરવામાં આવશે એવું ગુજરાતના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના પ્રથમ સત્રનો શુભારંભ રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કરાશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકો માટેનું આરક્ષણ તથા એગ્લો ઈન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વને વધુ ૧૦ વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં ૧૨૬મો સુધારો કરતો ખરડો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ સુધારાને ભારતના બંધારણના આર્ટિકલ ૩૬૮ની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોના વિધાન મંડળો દ્વારા બહાલી મળવી જરૂરી છે. આ સુધારાને સભાગૃહની બહાલી આપવા પ્રસ્તાવ લાવવામાં આવશે. દેશની લોકસભામાં અને રાજ્યસભામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વસતા ત્યાંના લઘુમતી સમુદાય (હિન્દુ, પારસી, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન) કે જેઓ ભારતમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાથી વસવાટ કરે છે તેમને ભારતનું નાગરિકત્વ આપવા માટેના ઐતિહાસિક નિર્ણય કરાયો છે. આનાથી ભારતના લઘુમતી સમુદાયને કે તેમના નાગરિકત્વ પર કોઇ અસર થવાની નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપવા માટે વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.