શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (22:03 IST)

મહુડી મંદિરના બંને ટ્રસ્ટીઓએ સોનાનો વરખ ઓગાળી 18 લાખની રોકડી કરીને અડધા અડધા પૈસા વહેંચી લીધા

news of gujarat
એક ટ્રસ્ટીએ અડધા પૈસામાંથી કિયા કંપનીની કાર રોકડા પૈસાથી ખરીદી હતી
પુત્રના લગ્ન હોવાથી પુત્રવધુના દાગીના પણ મંદિરમાંથી ચોરેલા પૈસા માંથી જ બનાવ્યા હતાં
 
ગાંધીનગરઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મંદિરના અન્ય ટ્રસ્ટીએ માણસા પોલીસ સ્ટેશનમાં 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોર્યાની ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત આરોપી ટ્રસ્ટીઓ પર મંદિરના ભંડારમાંથી રોકડ રકમની પણ ઉચાપત કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માણસા પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરીને તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. માણસા કોર્ટે બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. બંને ટ્રસ્ટીઓએ 18 લાખમાંથી અડધા અડધા પૈસા વહેંચી લીધા હોવાની કબૂલાત કરી છે. 
 
બંને આરોપીએ અડધા અડધા પૈસા વહેંચી લીધા
પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, જૈનોના પવિત્ર યાત્રાધામ મહુડીમાં ઘંટાકર્ણ ભગવાન વરખની ચોરી કરીને મંદિરના ટ્રસ્ટીએ એ વરખ ઓગાળીને 18 લાખ રૂપિયાની રોકડી કરી દીધી હતી અને તે 18 લાખમાંથી બંને આરોપીએ અડધા અડધા પૈસા વહેંચી લીધા હતા જેમાંથી એક આરોપીએ ચોરી કરેલા પૈસામાંથી કિયા કંપનીની કાર રોકડા પૈસાથી ખરીદી હતી તેમજ તેના પુત્રના લગ્ન હોવાથી પુત્રવધુના દાગીના પણ મંદિરમાંથી ચોરેલા પૈસા માંથી જ બનાવ્યા હતાં
 
વરખનું 700થી 800 ગ્રામ જેટલું વજન ઓછું નીકળતાં શંકા ગઈ
મહુડી મંદિરમાં આઠ ટ્રસ્ટીઓ છે. આ આઠ ટ્રસ્ટીઓમાંથી ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાંથી ભગવાનનું સોનાનું વરખ અને સોનાની ચેઈન સહિત મંદિરના ભંડારમાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ભગવાનના સોનાનો વરખ વર્ષમાં એક વખત ઉતારવામાં આવે છે. ત્યાર બાદ તેને ટ્રસ્ટીઓની હાજરીમાં ગાળવામાં આવે છે. આ વખતે આ વરખનું 700થી 800 ગ્રામ જેટલું વજન ઓછું નીકળતાં શંકા સેવાઈ હતી.  આ બંને જણાએ મંદિરના ભંડારમાંથી પણ રોકડ રકમની ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. 
 
સીસીટીવી ફૂટેજમાં હિલચાલ દેખાઈ
આ દરમિયાન સ્ટાફના માણસોને પુછતાં તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતા આવ્યા હતાં. તેમણે અમારી હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી. તેની સાથે સોના અને ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. ત્યાર બાદ તેમણે અમને બધાને જમવા મોકલી દીધા હતા. અમે જ્યારે જમીને આવ્યા ત્યારે આ બંને ટ્રસ્ટીઓ પાસે બે થેલા હતાં તે ત્યાંથી ગાયબ થયેલ માલુમ પડ્યું હતું. મંદિરના અન્ય ટ્રસ્ટીઓએ સીસીટીવી ફૂટેજ ચકાસતાં આ પ્રકારની હિલચાલ હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું. જેથી ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતને ફરિયાદ કરતાં પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ  કરી હતી.