1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:29 IST)

મોરબીના હળવદ નજીકથી 200થી વધુ ચકલીઓ મૃત હાલતમાં મળી આવી

મોરબીના હળવદ નજીક આવેલા માલણિયાદ ગામમાં  200 ચકલીઓ શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવી છે. નિષ્ણાંતો અને ડોક્ટર્સે લગભગ 52 ચકલીઓને બચાવી લીધી છે અને તેમનું માનવું છે કે ચકલીઓએ જે અનાજ ખાધું હશે તેમાં કોઈ ઝેરી પદાર્થની ભેળસેળ થઈ ગઈ હશે.એક સ્થાનિક બર્ડ હેલ્પલાઈન સાથે જોડાયેલા વેટરિનરી ડોક્ટર નિતેશ નાઈકપારા જણાવે છે કે, શનિવારના રોજ ગામના ખેતરોમાંથી લગભગ 148 ચકલીઓ મૃત અવસ્થામાં મળી, જ્યારે 27 ચકલીઓ બીમાર હતી જેમની સારવાર કરવામાં આવી. રવિવારના રોજ પણ લગભગ 50 ચકલીઓ મૃત અવસ્થામાં મળી હતી અને 25ને સારવાર કરીને બચાવી લેવામાં આવી છે.આ બાબતે જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને બચાવી લેવામાં આવેલી ચકલીઓને તેમને સોંપવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે કે તેમણે ઝેરી ખોરાક ખાઈ લીધો હશે. અહીં ચકલીઓને તેમના લાયક ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહેવાને કારણે અહીં પહેલાથી મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. અહીં તેમને અનુકૂળ વાતાવરણ પણ મળી રહે છે.