1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:57 IST)

ફેસબુકની સફળતા પાછળ છે ભારતના આ સંતનો હાથ, રેલવે પ્રધાન ગોયલનો દાવો

અમદાવાદ શહેરના તેલાવ-સાણંદ રોડ ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવેલ ‘આત્મિય યુવા મહોત્સવ’ માં  ભાગ લેવા આવેલ કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે દાવો કરતા કહ્યું કે, આજે દુનિયાની સૌથી મોટી કંપની બની ગયેલી ફેસબુક અને તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગને સફળતા ભારતના એક આધ્યાત્મિક ગુરુને મળ્યા બાદ મળી છે. તેમણે કહ્યું કે, એપલના સ્ટીવ જોબ્સ હોય કે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પોતાના સંકટ સમયમાં ભારત આવ્યા અને અહીંના આધ્યાત્મિક ગુરુને મળીને આધ્યાત્મિક્તાનો અભ્યાસ કર્યો અહીંથી જ તેમને નવા વિચાર અને મુશ્કેલીમાંથી રસ્તો કરવાની શક્તિ મળી. ગોયેલે કહ્યું કે, આપણે બધા જ જાણીએ છીએ કે ઝુકરબર્ગ પાસે કોલેજની ડિગ્રી પણ નથી.

તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા પરંતુ જ્યારે ભારતમાં આવી તેમણે નીમકરોલી બાબાની મુલાકાત લીધી. ત્યારે તેમને ખરુ જ્ઞાન મળ્યું અને દુનિયાને નવી દ્રષ્ટીથી જોવા માટે એક નવો પોઇન્ટ ઓફ વ્યુ તેમને મળ્યો. જેના કારણે તેમણે ફેસબુક જેવી મોટી શોધ કરી અને આજે સૌથી સફળ કંપનીના માલિક છે. રેલવે પ્રધાને કહ્યું કે, આધ્યાત્મિકતા સમગ્ર વિશ્વમાં સૌથી મોટું અને સૌથી અદ્ભુત યોગદાન છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા પાછળનો મારો હેતુ પણ ગુજરાતની પવિત્ર ભૂમી પરથી આધ્યાત્મિક્તાનો મેસેજ લેવાનો હતો. ભારતની એકતા અને બંધુત્વ પાછળ પણ આ આધ્યાત્મિક્તા જ કામ કરી રહી છે. જેના કારણે આજે આપણે વિશ્વ સમક્ષ એક શ્રેષ્ઠ ઉદાહરણ રુપ છીએ.’ સ્વામી નારાયણ સંપ્રદાયના હરીપ્રસાદ સ્વામીજીના 84માં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.