શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 એપ્રિલ 2018 (16:48 IST)

ભાજપ સરકારના ઉત્સવો, મેળાવડા પાછળ કરોડોના ખર્ચા પણ જળસંચય માટે ઉઘરાણાં કરાશે

ભાજપની સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને મેળાવડા પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ જળસંચય જેવી ઉપયોગી યોજના પાછળ ખર્ચ કરવામાં આવતો નથી. જળસંચય અભિયાન માટે ખેડૂતો, દૂધ ઉત્પાદકોની સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ પાસેથી ડોનેશનરૂપી ઉઘરાણા શરૂ કરાતા અસંતોષ વ્યાપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેળા, મહોત્સવ અને વાઇબ્રન્ટ સમિટ, યાત્રાઓ પાછળ પ્રજાના ટેક્સથી ઊભરાતી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ફૂંકી માર્યા બાદ ગુજરાત સરકારે જળસંચય અભિયાન માટે ખેડૂતો, દૂધ ઉત્પાદકોની સંસ્થાઓ પાસેથી ઉઘરાણા શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

સહકારી સંસ્થાઓના નફામાંથી કેવી રીતે ડોનેશન સ્વરૂપે રૂપિયા લઈ શકાય- આપી શકાય તેના માટે સરકારે બાકાયદા ઠરાવ પણ જાહેર કર્યો છે. ગુજરાતમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ, મંડળીઓ ઉપર ભાજપ અથવા તો તેના સર્મથકોનો કબજો છે. કાયદા મુજબ સહકારી મંડળી તેના ચોખ્ખા નફાનો ચોથો ભાગ અનામત ફંડ ખાતે લઈ જવો ફરજિયાત છે. જેમાંથી આંશિક રકમનો ઉપયોગ રાજ્ય કે સ્થાનિક હિત માટે થઈ શકે છે. જો કે, તેના માટે સરકારની મંજૂરી અનિવાર્ય છે. 1લી મેથી 31મી મે દરમિયાન સરકાર સુજલામ્ા સુફલામ્ા જળસંચય- જળસંગ્રહના રૂપકડાં સૂત્ર હેઠળ અભિયાન શરૂ કરશે. જેમાં તળાવો ઊંડા કરવા, ખેત તલાવડી અને આડબંધ બાંધવાના કામો થશે. તેના માટે ડોનેશન આપવા સહકારી સંસ્થાઓને કહેવામાં આવ્યું છે. જે મૂળત: ખેડૂતો, દૂધ ઉત્પાદકોની મહેનતે એકત્ર થતા નફામાંથી ઊલેચાશે. જળસંચયના કામો માટે માર્કેટયાર્ડ, દૂધ મંડળીઓ- સંઘો, ખરીદ વેચાણ સંઘો, પિયત મંડળીઓથી લઈને સહકારી બેન્કો સહિતની સંસ્થાઓ પોતાના અનામત (રિઝર્વ) ફંડમાંથી એક સામટે 20 ટકા અથવા રૂ.10 લાખ સુધીની રકમ આપે તેના માટે છૂટ આપી છે. કલેક્ટર દ્વારા આવી દરખાસ્ત પર સહકાર વિભાગ મંજૂરી આપી શકે તેના માટે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ વી.બી.ઠાકોરની સહીથી સરકારે ઠરાવ કર્યો છે. જમીન વિકાસ નિગમ- જીએલડીસીમાં તળાવો ઊંડા કરવા, ખેત તલાવડી ચેકડેમ બાંધવાના કૌભાંડો એસીબીના સર્ચ ઓપરેશન પહેલાંથી ધમધોકાર ચાલ્યા છે. તેના પર પોતું મારવાનો તખતો તૈયાર થઈ ચૂક્યાનું ચર્ચાય છે.