ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ડિસેમ્બર 2021 (08:49 IST)

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા આજે RSS સંકલિત સ્કૂલની મુલાકાત લેશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે અમદાવાદના મનીપુર ગામ પાસેની સંસ્કારધામ સ્કુલ સંકુલની મુલાકાત લેશે. આરએસએસ સાથે સંકલિત આ સ્કૂલના ચુનંદા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂમાં તેમજ વિડિયો કોન્ફરન્સિંગથી જોડાઈને ચોપડા કૂપોષણની બદી દૂર કરવાનો સંદેશ આપશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના જીવનમાં સમતોલ આહાર તેમજ ફીટનેસની મહત્ત્વતા પણ નીરજ ચોપ્રા સમજાવશે.

ઓલિમ્પિયન્સ રમતવીરો ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ 2023ના 75મા સ્વતંત્રતા દિવસ પૂર્વે 75 ભારતીય સ્કૂલોની આવી મુલાકાત લે તેવું PM મોદીએ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ટ્વીટ કરીને નીરજ ચોપડાથી ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામના દેશમાં શ્રીગણેશ થવાની માહિતી આપી હતી. વડાપ્રધાન દ્વારા આ પ્રોગ્રામ હેઠળ ટોકિયો ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકના વિજેતાઓને યુનિક શાળા મુલાકાત મિશનનું આહ્વાન કર્યું હતું. આ હેઠળ વિવિધ ઓલિમ્પિયન્સ ખેલાડીઓ ભારતની અલગ અલગ શાળાઓમાં જઈને જીવનમાં ફીટનેસ અને સ્પોર્ટ્સની મહત્ત્વતાનો સંદેશો આપશે. અમદાવાદ શહેરના નાકે મનિપુર ગામ પાસે 125 એકર વિસ્તારમાં ફેલાયેલી સંસ્કારધામ સ્કૂલની શરૂઆત જૂન, 1992માં થઈ હતી. નરેન્દ્ર મોદી તે સમયે માત્ર સંઘના પ્રચારક હતા અને પોતાના રાજકીય ગુરુ લક્ષ્મણરાવ ઈનામદાર એટલે કે વકીલસાહેબની એક ઉચ્ચ સ્તરીય સ્કૂલ સ્થાપવાની ઈચ્છાને પૂર્ણ કરવા તેમણે પોતાના અંગત નિરીક્ષણ હેઠળ આ સ્કૂલ બનાવડાવી હતી. આજે પણ આરએસએસના મૂલ્યોનું આ સ્કૂલના વિદ્યાર્થીઓમાં સિંચન કરાય છે. ભારતના ભાવિ અને અત્યારના વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા તથા રમત-ગમતમાં આગળ વધવાની તેમને પ્રેરણા મળે તે હેતુથી નીરજ સંસ્કારધામ સ્કૂલના ચુનંદા વિદ્યાર્થીઓ સાથે આવતીકાલે ભોજન લેશે. સંતુલિત આહાર, તંદુરસ્તપણે રમતગમતના ખૂબ જ મહત્વપૂર્ણ વિષયો પર શાળાના બાળકો સાથે નીરજ વાતચીત પણ કરશે. વડાપ્રધાનના યુનિક શાળા મુલાકાત મિશનનો અમદાવાદથી જ આરંભ કરાવતા નીરજ આવતીકાલે સંસ્કારધામ સ્કૂલના બાળકો સાથે સંતુલિત ભોજન લેશે.