1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 મે 2021 (13:13 IST)

સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં: હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, કોરોનાની ચેન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી તેમજ લીડરશિપનો અભાવ છે.

લીડરશિપ એવી જોઈએ કે જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે, પણ એવાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ટેસ્ટિંગમાં વગર કોઈ કારણે ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એડવોકેટ જનરલે ટેસ્ટિંગ પર જણાવ્યું હતું કે, 26 માંથી 15 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે. 6 યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે. રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માંગ ઘટી છે. હાઈકોર્ટે સરકારને કહ્યું, માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ, જમીની હકીકતમાં પણ ટેસ્ટિંગ થવા જોઈએ. જ્યાં પુરતી સુવિધાઓ નથી અને ગ્રામીણ વિસ્તારમાં કેસો વધી રહ્યા છે તેના માટે શું કરી રહ્યા છો? પૂરતી વિગતો સોગંદનામું કરીને રજૂ કરો.જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને સવાલ કર્યો હતો કે, રોજના 25 હજાર રેમડેસિવિરની જરૂર છે. સામે 16115 જેટલા ઇન્જેક્શન જ આવે છે. શું ઇન્જેક્શનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ આપવો પડશે. તેમણે વધુમાં કહ્યું, અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના 4 થી 5 લોકો મરે છે. એમના ટેસ્ટ થયા નથી હોતા. એમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. તેના માટે સરકાર શું કરી રહી છે?હાઇકોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજ્યની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી? ઇન્જેક્શનના અભાવે આવા દર્દીઓને મરવા છોડી દેવા યોગ્ય નહીં. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડીનેશન દેખાતું નથી. સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં. ગ્રામીણ વિસ્તાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આશા વર્કર અને એમબીબીએસમાં ભણતા વિદ્યાર્થીઓ જેમને કોવિડની કામગીરી સોંપાઈ છે. તેમનું રસીકરણ પ્રાથમિક ધોરણે કરવામાં આવે તેવી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે. સાથે જ સરકાર પારદર્શી રીતે કામ કરે એવી હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની રજૂઆત છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર માહિતી આપવામાં માત્ર પેચવર્કનું કામ કરી રહી છે. સુનાવણી દરમિયાન જો કોઈ પ્રશ્ન થાય તો સરકાર માત્ર એ જ માહિતી આપે છે; સંપૂર્ણ માહિતી આપતી નથી. એડવોકેટ પર્સી કવીનાએ વધુમાં જણાવ્યું હતું કે રિયલ ટાઈમ પર માત્ર બેડની જ નહીં, પણ તમામ માહિતી ડેશબોર્ડ પર મુકાવવી જોઈએ. માત્ર કેટલાં બેડ ખાલી છે એના કરતાં ઓક્સિજનનાં બેડ, વેન્ટિલેટરનાં બેડની પણ માહિતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ માત્ર બેડ છે, જ્યાં કોઈ MBBS ડોક્ટર નથી. માહિતી એટલે મેડિકલ સ્ટાફ, બેડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ. એડવોકેટ મિહિર ઠાકોરે જણાવ્યું કે, કોઈ પણ દવા સમયે મળવી જરૂરી છે. હાલ રેમડેસિવિરનો આજે ઓર્ડર કરવો તો બીજા દિવસે દવા મળે છે. બીજી તરફ એડવોકેટ પર્સી કાવીનાએ રજૂઆત કરી હતી કે દર્દીઓને જયારે ડોક્ટર રેમડેસિવિર દવાની માંગ કરે છે તેઓ અહીં તહીંથી વ્યવસ્થા કરે છે. અને પોલીસ તેમને બ્લેક માર્કેટિંગમાં પકડે છે. તેમના ઉપર FIR કરે છે. મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન ઘણા મોંઘા છે. એક ઇન્જેક્શન 7000નું આવે છે. દર્દીને 100 જેટલા ઇન્જેક્શન આપવા પડે છે. હાલ સરકાર 5000 જેટલા ઇન્જેક્શન ધરાવે છે, એવામાં ઇન્જેક્શન ઓછા છે અને દર્દીઓ વધુ છે.