શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (14:39 IST)

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલની તારીખ 15 ઓક્ટોબર સુધી લંબાવાઈ

ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી છે. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં આશરે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં આ મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે.

આ મામલે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, "આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં 15મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUCને માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરીને તેમાં પણ આ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં PUCના 900 સેન્ટરો ખુલે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે."વાહનવ્યવહાર મંત્રીએ જાહેરત કરતા જણાવ્યું હતું કે, "કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ હેલ્મેટ ISI ગુણવત્તાવાળું હશે. "મંત્રીની સ્પષ્ટતા પ્રમાણે જે લોકોએ પહેલાથી જ દંડ ભરી દીધો છે તેને પાછો આપવામાં નહીં આવે. મંત્રીના કહેવા પ્રમાણે લોકોની સગવડતા માટે મુદત વધારવામાં આવી છે. પરંતુ જે રકમ જમા થઈ છે તેને પરત આપવામાં નહીં આવે.વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે. પત્રકાર પરિષદ સંબોધતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણી તરફથી ઉપયોગમાં લેવામાં આવતા બંને વાહનો GJ18G 9085 અને GJ18G 9086 ડીજીપી અને આઈજીપી ભવનના નામે નોંધાયેલા છે. બંને વાહનોની રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 15 વર્ષની છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. 2029 સુધીની બંને વાહનોની વેલિડિટી છે. બંને વાહનોનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે 31-12-2019 સુધીનો વીમો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનોનાં PUC સર્ટિફિકેટની મુદત 30-09-2019 સુધીની છે."