શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (14:07 IST)

500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરનાર કોંગ્રેસના નેતાઓને વિજયભાઈ રૂપાણીની નોટિસ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની સરકારમાં 500 કરોડનું જમીનના ઝોન ફેરનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો, જેના સામે અમેરિકાથી પરત ફરતા જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોપ લગાવનાર કોંગ્રેસના નેતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસ પક્ષના દંડક સી.જે. ચાવડા અને વિરોધ પક્ષ નેતાના કાર્યાલયના અંગત મદદનીશને બદનક્ષી બદલ કાનૂની નોટિસ ફટકારી છે. વિજયભાઈ રમણીકલાલ રૂપાણીના એડવોકેટ દરજ્જે વકીલ અંશ ભારદ્વાજે નોટિસમાં જણાવ્યું છે કે, તેમના અસીલ એટલે કે વિજયભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રમુખ તરીકે ઘણા વર્ષ સેવા આપી છે.હાલ ધારાસભ્ય છે, રાજ્યના પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે, જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. સીએમ તરીકેની ફરજ દરમિયાન તેઓએ ક્યારેય તેઓએ નિયમ-કાયદા વિરુધ્ધનું કામ કર્યું નથી. ગુજરાતના લોકોમાં ખૂબ મોટી લોકચાહના ધરાવે છે.નોટિસમાં જણાવ્યા મુજબ કોંગી નેતાઓના આક્ષેપથી વિજયભાઈની પ્રસ્થાપિત પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયું છે. કોઇપણ આધાર-પુરાવા વગર બદઇરાદે વિરોધ પક્ષના નેતાનું કાર્યાલય ગુજરાત વિધાનસભાના લેટરપેડ પર અખબારી યાદી પ્રકાશિત કરી તથ્યવિહિન અને તદન ખોટા આક્ષેપો કર્યા છે. આ સિવાય પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપો કરાયા હતા. સુખરામ રાટવાએ કહેલું કે વિજયભાઈ રૂપાણી સાહેબએ 28-5-2021નાં રોજ મંજૂરી આપેલ છે અને 8-6-21નાં રોજ જાહેરનામું મંજુર કરેલ છે, આવડો મોટો ફ્રોડ આ જમીનમાં થતો હોય તો આ ભાજપ શાસનમાં કોઇપણ પ્રકરણ હોય તેને આટોપી લેવાનો પ્રયત્ન થતો હોય છે, આવા કિસ્સાઓ માત્ર રાજકોટ નહી વડોદરા, પંચમહાલ, સુરત ઘણી બધી જગ્યાએ થયો છે. શૈલેષભાઈ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે,રૂપાણી સરકારએ ભ્રષ્ટસરકાર હતી, ભ્રષ્ટ સરકારના કારણે મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલી દેવામાં આવે છે.સહારાની જમીન ઝોન ફેરમાં રાજકોટનું રૂડા હોય કે, સીએમઓ ઓફિસ સુધી 500 કરોડ કરતા વધારે વહીવટ થયો છે. એવા આક્ષેપ કરેલા છે. આ મામલે બદનક્ષીની કાનૂની નોટિસ ફટકારી 15 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા જવાબ આપવા કહેવાયું છે. નહીંતર કાનૂની રાહે દાવો કરીશું તેવું નોટિસમાં જણાવાયું છે.કોંગ્રેસના નેતાઓને નોટિસમાં સૂચન અને સલાહ પણ અપાઈ છે, વિજયભાઈ રૂપાણી ઉપર ખોટુ આળ મુકી બદનક્ષી કરી હોવાથી લેખિત માફી માંગવા અને તમામ ખોટા આક્ષેપો પરત ખેંચી તે લેખિત માફીની પ્રેસના માધ્યમથી તથા પ્રિન્ટ ઇલેકટ્રોનિક તથા સોશિયલ મીડિયામાં પ્રસારીત કરવા કોંગી નેતાઓને જણાવાયું છે.