1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (12:02 IST)

વડોદરામાં પ્રેમલગ્ન બાદ હિન્દુ યુવતીને ખ્રિસ્તી બનવા દબાણ કર્યું

વડોદરામાં બિલ્ડરની પુત્રીને સેલ્વિન નામના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી બ્લેડના 500 ઘા મરાવ્યાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે, ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પ્રેમલગ્નના એક વર્ષમાં જ કેલ્વીન નામના વિધર્મી યુવકે હિન્દુ યુવતીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવા દબાણ કર્યાંની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે તપાસ અધિકારી એએસઆઇ શ્રીરામ ભીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે કેલ્વિનને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે અને તેને 5 દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે અને હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવામાં આવશે.ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 2 જુલાઈ 2022ના રોજ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 14 એપ્રિલ 2021ના રોજ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા કેલ્વીનભાઇ જોસેફભાઇ રાઠોડ સાથે અમદાવાદ ખાતે ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે પ્રેમલગ્ન કર્યાં હતા. એક બાઇકના શો રૂમમાં અમે બંને સાથે નોકરી કરતા હતા. જ્યાં અમારા વચ્ચે સાત મહિના પ્રેમ સંબંધ રહ્યો અને પછી લગ્ન કર્યાં હતા. લગ્નના થોડા દિવસ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો અને હું પતિ તેમજ સાસુ-સસરા સાથે રહેતી હતી. હું હિન્દુ ધર્મની છું. મારો પતિ ફર્ટિલાઇઝરમાં નોકરી કરે છે.અંદાજે છ મહિના પહેલા હું ઘરે હતી ત્યારે મારા સાસુ-સસરા મને કહેવા લાગ્યા તું નોકરી કેમ કરતી નથી, તું દહેજ પણ લાવી નથી તેમ કહી પૈસાની માંગણી કરતા હતા.

તેમજ તું ખ્રિસ્તી ધર્મ અપનાવી લે તેવું કહી મને મારવા લાગ્યા અને મારા પતિ પણ ત્યાં હાજર હતાં, છતાં મારો સાથ આપ્યો નહીં. જેથી મેં ઘરમાં રહેલી ખજવાળની ગોળી અને તાવની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જો કે, આ અંગે મેં પિયરમાં જાણ કરી ન હતી. ઘટનાના બે મહિના મારી મેરેજ એનિવર્સરીના દિવસે બહાર જમવા માટે ફરવા જવાનું કહેતા મારા પતિ તથા સાસુ સંગીતાબેન જસ્ટીનભાઇ રાઠોડ તથા મારા સસરા જસ્ટીનભાઇ જોસેફભાઇ રાઠોડે મને માર માર્યો હતો. મારા પતિએ કહ્યું હતું કે, તું મને ગમતી નથી. મને બીજી છોકરી ગમી ગઇ છે. તેની સાથે હું લગ્ન કરવાનો છું.હું ઘરમાં ઊંઘતી હતી ત્યારે મારા પતિએ કેલ્વીને મને લાત મારીને ઉઠાડી હતી અને કાન પર એક લાફો ઝીંકી દીધો હતો. સાથે જ પતિ કહેવા લાગ્યો હતો કે, તું મને ડાઇવોર્સ કેમ નથી આપતી તેમ કહી મને મરી જવાની ધમકી આપી અપશબ્દો કહ્યાં હતા. જેથી મેં 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવી હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.