1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2019 (16:16 IST)

#JeanDreze : સામાજિક કાર્યકર અને અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝને અટકાયત બાદ મુક્ત કરી દેવાયા

જાણીતા સામાજિક કાર્યકર અને અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝની ઝારખંડની ગઢવા પોલીસે અટકાય બાદ છોડી મૂક્યા છે.

જ્યાં દ્રેઝ અને તેમના સાથી વિશુનપુરામાં 'રાઇટ ટુ ફૂડ કૅમ્પેન'ના એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ સમયે વિશુનપુરા પોલીસ આવી હતી અને તેમની અટકાયત કરી હતી.

પલામુના ડીઆઈજી વિપુલ શુક્લએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યાં દ્રેઝ અને તેમના સાથીઓને કસ્ટડીમાં લેવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યાં દ્રેઝ જે કાર્યક્રમમાં ગયા હતા તેની તંત્રની મંજૂર લીધી નહોતી.

ડીઆઈજી વિપુલ શુક્લએ બીબીસીને કહ્યું, "જ્યાં દ્રેઝની ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘનના મામલામાં અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજકોએ એસડીઓ પાસેથી કાર્યક્રમની મંજૂરી લીધી નહોતી."

"લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે. એવામાં મંજૂરી વિના જાહેર સભા કરવી આચારસંહિતાનો ભંગ છે. એટલા માટે પોલીસ તેમને પોલીસ સ્ટેશન લાવી હતી."

બીજી તરફ જ્યાં દ્રેઝે જણાવ્યું હતું કે પોલીસ રિપોર્ટ નોંધીને જામીન લેવાનું દબાણ કરી રહી હતી. તેમને કોઈની સાથે ફોનમાં વાત કરવાની પણ મંજૂરી નહોતી અપાઈ.

બીબીસીએ તેમની સાથે એસએમએસ દ્વારા વાતચીત કરી હતી.

જ્યાં દ્રેઝે કહ્યું હતું, "જો લોકોને ચૂંટણી સમયે શાંતિપૂર્ણ રીતે ગેરરાજકીય મિટિંગ કરવાનો પણ અધિકાર નથી તો લોકતંત્રનો કોઈ અર્થ નથી રહેતો."

આ દરમિયાન રાઇટ ટુ ફૂડ કૅમ્પેનના સિરાજ દત્તાએ જણાવ્યું કે પોલીસની કાર્યવાહી ખૂબ જ નિંદનીય અને ગેરબંધારણીય છે.

ચૂંટણી આચરસંહિતાનું બહાનું ધરીને સામાજિક કાર્યકરોની ધરપકડ અને તેમને ડરાવવું લોકશાહી વ્યવસ્થા માટે યોગ્ય નથી. આનો વિરોધ થવો જોઈએ.