ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 21 ઑક્ટોબર 2019 (10:54 IST)

ગુજરાત પેટાચૂંટણી : મતદાન શરૂ, ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોએ કર્યું મતદાન

ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી
 
ગુજરાતની છ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાનું રાજકીય ભાવિ નક્કી થશે.
હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ ગુજરાતમાં આ પેટાચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમના ચૂંટણીપ્રચાર અભિયાનને મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી ઉપર કેન્દ્રીત રાખ્યું હતું, પરંતુ ગુજરાત તેમનું 'હૉમ-સ્ટેટ' હોવાને કારણે તેઓ આ બેઠક ઉપરના પરિણામોને તેમની પ્રતિષ્ઠા સાથે જોડીને જોવામાં આવે છે.
અલ્પેશ ઠાકોરની બેઠક પર રાધનપુરમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત સહિતના નેતાઓએ પ્રચારસભાઓ કરી હતી.
મે-2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો અને 2014ના પરિણામોનું પુનરાવર્તન કર્યું હતું.
તા. 24મી ઑક્ટોબરે બે રાજ્યોની વિધાનસભા ઉપરાંત ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે.
નજર રાધનપુર અને બાયડની પેટાચૂંટણી પર
ઉમેદવારો
રાધનપુરની બેઠક ઉપરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે, જેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસની ટિકિટ ઉપર અહીંથી વિજેતા થયા હતા.
બાયડની બેઠક ઉપરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી સમયે ઝાલા આ બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા હતા.
દારૂબંધીના આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ ઠાકોર 2017 અગાઉ પોતે કદી રાજકારણમાં નહીં આવે એમ કહેતા હતા.
જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોરસેના સાથે સંકળાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાં જોડાયા હતા અને ધારાસભ્ય બન્યા.
2019ની લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ તેમણે કૉંગ્રેસથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું અને પ્રચારથી અળગા થઈ ગયા હતા.
તેમણે અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.
મે-2019માં લોકસભા ચૂંટણીપરિણામો બાદ જુલાઈ મહિનામાં બંને ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની માગણી પણ કૉંગ્રેસે કરી હતી.
ઠાકોર તથા ઝાલાએ તેમની વિધાનસભા બેઠકો ઉપરથી રાજીનામા આપી દીધા હતા, જેથી ખાલી પડેલી બેઠકો ઉપર પેટા-ચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.
કૉંગ્રેસે રાધનપુરની બેઠક ઉપરથી રઘુભાઈ દેસાઈ અને બાયડમાંથી જસુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
20147ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતોથી વિજય થયો હતો.
કૉંગ્રેસને 48.33 ટકા મત મળ્યા હતા અને ભાજપને 39.96 ટકા મતો મળ્યા હતા.

અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને પંચમહાલ
ડિસેમ્બર-2017માં પંચમહાલ જિલ્લાની લુણાવાડા બેઠક ઉપરથી રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને લોકસભાની ચૂંટણીમાં પંચમહાલની બેઠક પર ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા.
મે-2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ (પૂર્વ)ની લોકસભા બેઠક ઉપરથી વિજેતા થયા હતા.
મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક ઉપરથી ધારાસભ્ય ભાજપના ભરતસિંહ ડાભીને પાર્ટીની ટિકિટ ઉપર પાટણની બેઠકથી સંસદસભ્ય બન્યા છે.
બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલ મે મહિનામાં બનાસકાંઠાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
આમ, સંસદસભ્ય બન્યા બાદ હસમુખ પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ તથા પરબતભાઈ પટેલે ધારાસભ્યપદેથી રાજીનામા આપ્યા હતા.
આ ચારેય બેઠક ઉપર મહદંશે ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે.
 
અમરાઈવાડીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પટેલની ટક્કર ધર્મેન્દ્રભાઈ પટેલ સાથે, થરાદ પરથી જીવરાજભાઈ પટેલનો મુકાબલો ગુલાબસિંહ રાજપૂત સાથે, ખેરાલુની બેઠક ઉપરથી ભાજપના અમજલભાઈ ઠાકોરનો મુકાબલો બાબુજી ઠાકોર સાથે અને લુણાવાડાની બેઠક ઉપરથી જિગ્નેશભાઈ સેવકની ટક્કર ગુલાબસિંહ ચૌહાણ સાથે છે.
કાયદાકીય જોગવાઈઓ મુજબ વિધાનસભા (કે પરિષદ)ના ધારાસભ્ય અને સંસદસભ્ય એક કરતાં વધુ ગૃહનું પ્રતિનિધિત્વ એક જ સમયે ન કરી શકે અને બેમાંથી એક ગૃહમાંથી રાજીનામું આપવું પડે.
ખાલી પડેલી બેઠક ઉપર છ મહિનાની અંદર પેટાચૂંટણી યોજવી પડે, જેનો કાર્યકાળ વિધાનસભા કે લોકસભાના કાર્યકાળ સાથે જ પૂર્ણ થાય છે.
 
ક્યાં કેટલા મતદાર?
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, અમદાવાદ શહેરમાં આવતી અમરાઈવાડી (નંબર 50) બેઠક ઉપર (148754 પુરુષ, 129536 મહિલા તથા અન્ય ત્રણ) સહિત કુલ 278293 નાગરિકોને મતાધિકાર મળેલો છે.
મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક (નંબર 20) ઉપર 209533 મતદાર છે, જેમાં 108894 પુરુષ, 100636 મહિલા તથા અન્ય ત્રણ મતદારોનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક (નંબર 8) ઉપર કુલ 217699 મતદાતા છે, જેમાં પુરુષ (115625) અને મહિલા (102074) મતદાર છે.
પાટણ જિલ્લાની રાધનપુર (નંબર 16) બેઠક ઉપર કુલ 269659 મતદાર છે, જેમાં (પુરુષ 140190, મહિલા 129466 તથા અન્ય ત્રણ)નો સમાવેશ થાય છે.
મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠક (નંબર 122) ઉપર પુરુષ (137785), મહિલા (130812) તથા અન્ય ત્રણ સહિત કુલ 268600 નાગરિક મતાધિકાર ધરાવે છે.
અરવલ્લી જિલ્લાની બાયડ (નંબર 32) બેઠક ઉપર 118817 પુરુષ તથા 112286 મહિલા સહિત કુલ 231103 લોકો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
 
ગુજરાતની રુપાણી સરકારને અસર
ગુરૂવારના ચૂંટણી પરિણામ હોય, તેના કારણે ગુજરાતમાં વિજય રુપાણીના નેતૃત્વવાળી ભાજપની સરકારને કોઈ જોખમ ઊભું થાય તેવી શક્યતા નથી.
કુલ 182 વિધાનસભ્યવાળા ગૃહમાં સાદી બહુમતી માટે 92 ધારાસભ્યની જરૂર રહે છે, જોકે રુપાણી પાસે 104 ધારાસભ્યનું સમર્થન છે.
એપ્રિલ-2019માં ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર), માણાવદર (જૂનાગઢ), જામનગર-ગ્રામીણ તથા ઊંઝા (મહેસાણા) એમ ચાર બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી.
આ ચારેય બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. ડિસેમ્બર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને કુલ 99 બેઠક મળી હતી.
 
182માંથી 179
કુલ 182 ધારાસભ્યવાળી વિધાનસભામાં હાલમાં કુલ 173 ધારાસભ્ય છે, છ બેઠક ઉપરની પેટા ચૂંટણી બાદ સભ્યસંખ્યા 179 ઉપર પહોંચશે.
એપ્રિલ-2019માં કોર્ટના આદેશોને પગલે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ગેરલાયક ઠેરવવામાં આવતાં આ બેઠક ખાલી પડી છે.
માણેકે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમનું ઉમેદવારીફૉર્મ ભરવામાં ભૂલ કરી હતી, જેને કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી.
ગીર-સોમનાથ જિલ્લાની તલાલા બેઠક (નંબર 91) ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન ભરવાડને ગેરકાયદેસર ખાણકામના કેસમાં નીચલી કોર્ટે બે વર્ષ અને નવ માસની જેલની સજા ફટકારી હતી.
આથી, કેન્દ્રીય ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણી સાથે જ ત્યાં પેટાચૂંટણી યોજાવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની ઉપર સ્ટે મૂક્યો હતો. હાલમાં આ કેસ સર્વોચ્ચ અદાલતમાં પડતર છે.
લોક પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ પ્રમાણે, બે વર્ષથી વધુ સમય માટે જો કોઈ લોકપ્રતિનિધિને સજા થાય તો તે આપોઆપ ગેરલાયક ઠરે છે અને ચૂંટણીની જરૂર ઊભી થાય છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હરફની બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટ શિડ્યૂલ્ડ ટ્રાઇબ (અનુસૂચિત જનજાતિ) માટેની અનામત બેઠક ઉપર વિજેતા થયા હતા.
જોકે, જાતિ અંગેનું તેમનું સર્ટિફિકેટ ખોટું હોવાનું જણાતા ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ગેરલાયક ઠેરવવા ભલામણ કરી હતી.
તેમની આ ભલામણના આધારે તત્કાલી રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ખાંટને ગેરલાયક ઠેરવ્યા હતા. ખાંટ અપક્ષ ચૂંટણી લડ્યા તે પહેલાં કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા.