ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 13 મે 2020 (18:04 IST)

આત્મનિર્ભર ભારત અભિયાન : MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે - નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે બપોરે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેના પૅકેજની રૂપરેખા રજૂ કરી હતી.
 
મંગળવારના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આત્મનિર્ભર ભારત અભિયાન' માટે રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે દેશની કુલ જી.ડી.પી.ના લગભગ 10 ટકા જેટલું છે અને આગામી દિવસોમાં નાણામંત્રી દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.'
 
આ પહેલાં કેન્દ્ર સરકાર દ્વાર રૂ. એક લાખ 70 હજાર કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
 
આ સિવાય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બજારમાં નાણાકીય તરલતા વધે તે માટે મ્યૂચ્યુઅલ ફંડ્સ માટે રૂ. 50 હજાર કરોડની જાહેરાત કરી હતી. આ સિવાય લૉનનો હપ્તો ભરવમાં રાહત, લૉનના દરમાં ઘટાડો વગેરે જેવાં પગલાંની જાહેરાત કરી હતી.
 
જાહેરાતના મુખ્ય મુદ્દા
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના અનેક સૅક્ટર્સ સાથે અલગ-અલગ સ્તરે, વિભિન્ન મંત્રાલયો સાથે પરામર્શ બાદ મળેલાં ઇનપુટ્સના આધારે રૂ. 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી
અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા તથા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રૂ. 20 લાખ પૅકેજની જાહેરાત થઈ રહી છે
ઇકૉનૉમી, ઇન્ફ્રાસ્ટ્રક્ટચર, ટેકનૉલૉજી આધારિત સિસ્ટમ, ડેમૉગ્રાફી અને ડિમાન્ડના પાયા ઉપર આધારિત હશે
લૅન્ડ, લેબર તથા કાયદાની બાબતોમાં સુધાર કરીને ઇઝ-ઑફ-ડૂઇંગ બિઝનેસ ઉપર ભાર મૂકાશે
આત્મનિર્ભર ભારતનો હેતુ વિશ્વથી વિમુખ ભારત નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ભારત જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું પ્રદાન આપશે
લૉકડાઉનની જાહેરાતના ગણતરીના કલાકોમાં 'પી.એમ. ગરીબ કલ્યાણ પૅકેજ' જાહેર કરવામાં આવ્યું હતું, રૂ. 52,606 સીધા લાભાર્થીના ખાતામાં જમા થયા
દૈનિક જાહેરાતમાં વયોવૃદ્ધ, ગરીબ, પરપ્રાંતીય શ્રમિક તથા દિવ્યાંગને ધ્યાને લેવામાં આવશે
આવકવેરો ભરનારાઓને રૂ. 18 હજાર કરોડની રિફંડ આપવામાં આવ્યું, જેનાથી 14 લાખ કરદાતાને લાભ થયો
MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે, જેની મુદ્દત ચાર વર્ષની હશે અને એક વર્ષ સુધી વ્યાજ નહીં હોય, ઑક્ટોબર મહિના સુધી તેનો લાભ લઈ શકાશે
MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉનથી 45 લાખ એકમોને લાભ દેશે
આઠ કરોડ 'ઉજ્જવલા યોજના'ના લાભાર્થીઓને કુલે ત્રણ માસ સુધી મફતમાં ગૅસ સિલિન્ડર આપવામાં આવશે