શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (15:17 IST)

નવરાત્રિ નહી થાય તો કલાકારોની દિવાળી બગડશે, પણ જનહીત ભોગે નવરાત્રિ નહી

ગુજરાતમાં આ વખતે કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન કરવું કે નહી એ મોટો પ્રશ્ન છે. ઘણા કલાકાર મ્યુઝિકલ ગ્રુપને પરવાનગી મળવી જોઇએ તે પક્ષમાં તો કેટલાક કલાકાર પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરી જનહીતમાં ગરબાનું આયોજન ન થાય તેના પક્ષમાં છે. આ સાથે જ રાજ્યના ડોક્ટરોએ આ વખતે સાર્વજનિક ગરબાનું આયોજ ન કરવાની વાત રજૂ કરી છે. તેનું કારણ એ છે કે જો ગરબાનું આયોજન થયું તો કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ વધારો થશે. એવામાં ગુજરાતમાં 20 મોટા આયોજકો દ્વારા નવરાત્રિમાં ગરબા મહોત્સવનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રિનું આયોજન થવું જોઇએ કે નહી તે અંગે સધી સપ્તક મ્યુઝિકલ ગ્રુપના સિંગર અલ્કા ઠાકુર, હેમીલ સોનીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 
અલ્કા ઠાકુર એક ગુજરાતના જાણિતા સિંગર છે. જે છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમનું પોતાનું સધી સપ્તક મ્યુઝિકલ ગ્રુપ ચાલે છે. તેઓ દર વર્ષે દેશ-વિદેશમાં પ્રોગ્રામ કરે છે. તેમણે જોર્જિયા, લંડન, દુબઇ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રીકા સહિતના ઘણા દેશોમાં નવરાત્રિ અને મ્યુઝિકલ પ્રોગ્રામ કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાથી કોરોનાની મહામારીના ગુજરાતના કલાકારો પાસે કોઇ કામ નથી, સવાર નવરા હોવાથી કલાકારોને આર્થિક રીતે નુકસાન થઇ રહ્યું છે. 
 
કલાકારો માટે નવરાત્રિ એટલે મુખ્ય સિઝન ગણવામાં આવે છે. આ સિઝનમાં તે વર્ષ દરમિયાન આવક રળી લેતા હોય છે. દર નવરાત્રિમાં અમારા ગ્રુપને દેશ-વિદેશમાં વિવિધ સ્થળો પર બોલાવવામાં આવતું હોય છે. આજે એક ગ્રુપમાં 15-20 લોકો હોય છે. જેથી 15-20 પરિવારોને રોજી રોટી તેના નિર્ભર હોય છે. પરંતુ આ વખતે કોરોના કહેરના લીધે હજુ એકપણ બુકિંગ લીધું નથી. 
નવરાત્રિના એક મહિના પહેલાં નવરાત્રિના એક પછી એટલે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન કલાકારોની પીક સિઝન ગણવામાં આવે છે. વિદેશોમાં પ્રી નવરાત્રિ અને પોસ્ટ નવરાત્રિ આયોજન કરવામાં આવતું હોય છે. અને દિવાળી પહેલાં અને દિવાળી પછી મ્યુઝિક પાર્ટીનું આયોજન થયું છે. પરંતુ આ વખતે વિદેશોમાં મોટાભાગના આયોજન સ્થગિત કરવામાં આવ્યા છે જેથી કલાકારોની મુશ્કેલી વધી ગઇ છે. 
 
તો આ તરફ અલગ-અલગ અભિપ્રાયો વચ્ચે સરકાર પણ અસજંમસમાં છે કે નવરાત્રિ માટે છૂટછાટ આપવી કે નહી. જો નવરાત્રિ માટે છૂટછાટ આપવામાં આવે તો કોરોનાનો કહેર વધુ વકરવાની ભિતિ છે. તો બીજી તરફ એક કલાકારની દ્વષ્ટિએ વિચારીએ નવરાત્રિનું આયોજન ન થતાં કલાકારોની દિવાળી બગડશે અને વધુ આર્થિક ભીંસમાં મુકાય જશે.
 
આજે કલાકારો લોન લેવામાં પણ તકલીફ પડી રહી છે. અલ્કા ઠાકુરનું માનવું છે કે સરકાર દ્વારા કલાકારો માટે કોઇ પેકેજની જાહેરાત કરવામાં આવે. મોટા અને લધુ ઉદ્યોગો માટે વિવિધ પેકેજ અને લોનની જાહેર કરવામાં આવી છે એ જ પ્રકારે કલાકારો માટે કોઇ પેકેજ અને લોનની સુવિધા પુરી પાડવામાં આવે.  
 
તો આ તરફ ડ્રમર હેમીલ સોનીનું માનવું છે કે નવરાત્રિ એટલે ગુજરાતના યુવાનો થનગનાટ ભક્તિનો પર્વ. નવરાત્રિ માટે યુવાનો આખુ વર્ષ રાહ જોતા હોય છે અને તેની તૈયાર લગભગ મહિનાઓ પહેલાં શરૂ કરી દેતા હોય છે. એ જ પ્રકારે નવરાત્રિ એટલે આર્ટિસ્ટો માટે મહત્વની સિઝન છે. કારણ કે વર્ષ દરમિયાન આ જ એક એવો મોટો તૈયાર છે જે નવ દિવસ સુધી ચાલે છે. લોકો મહિનાઓ પહેલાં બુકિંગ કરાવી દેતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના લીધે આ સીઝન ફેલ ગઇ છે. 
 
નવરાત્રિના આયોજનને લઇને વિવિધિ અભિપ્રાયો છે. એક વર્ગ એવો છે કે નવરાત્રિના આયોજન માટે તૈયાર છે તો બીજી તરફ એક વર્ગ એવો છે જેનું માનવું છે કે નવરાત્રિનું આયોજન થશે તો કોરોનાના કેસમાં વધારો થશે અને મુશ્કેલીઓ વધી જશે. ત્યારે આવી કપરી સ્થિતિમાં ડ્રમર હેમીલ સોનીનું માનવું છે કે આયોજન ન થાય તે વધુ સારું છે. ચોક્કસ તેના કારણે કલાકારોને આર્થિક તકલીફ ઉભી થશે પરંતુ જીનહિત માટે આ આર્થિક નુકસાન વેઠવા માટે અમારી તૈયારી છે. 
 
સામાન્ય દિવસોમાં નવરાત્રિ દરમિયાન એક ડ્રમરને એક દિવસને 40000-5000 રૂપિયા મળતા હોય છે, જ્યારે અન્ય દિવસોમાં 2000 થી 25000 મળતા હોય છે. પરંતુ આ વખતે તો સાવ નવરા બેસવાનો વારો આવ્યો છે. અત્યારે અમે યુટ્યૂબ અને ફેસબુક પર લાઇવ પ્રોગ્રામ આપીને લોકોને મનોરંજન પુરૂ પાડી રહ્યા છે. 
 
છેલ્લા 8 મહિના કોઇપણ પ્રકારના જાહેર ફંકશનનું આયોજન થયું ન હોવાથી કલાકારોની આવકનો સ્ત્રોત બંધ થઇ ગયો છે. ઘણા એવા કલાકારો છે જેમણે પોતાનું ગુજરાન ચલાવવા માટે ચાની ટપરી, નાનો મોટો ધંધો કે નોકરી શરૂ કરી દીધી છે. કારણ કે આવક સ્ત્રોત અટકી ગયો હોવાથી ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. અત્યારે સ્થિતિ ખરેખર કપરી છે એક પરીક્ષા જેવી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતી દ્રઢતાથી આ કપરી સ્થિતિનો સામનો કરી કોરોનાને હરાવશે અને આગામી સમયમાં ફરી ગુજરાત કોરોના મુક્ત બનશે.